ના, જો ગ્રાહક સર્વિસ ચાર્જ આપવાની ના પાડે, તો પણ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ તેમને પ્રવેશ કે ભોજન પીરસવાની ના પાડી શકશે નહીં. આવું કરવું ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે.
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
બિલમાં તમારી મરજી વિના સર્વિસ ચાર્જ ઉમેરવો એ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે; CCPA એ જાણીતી બ્રાન્ડ 'ચાયોસ' સહિત 41 રેસ્ટોરન્ટ્સ સામે લાલ આંખ કરી 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો.

- ગ્રાહકો 1915 હેલ્પલાઈન પર અન્યાયી ચાર્જની ફરિયાદ કરી શકે.
restaurant service charge rules: વીકેન્ડમાં કે રજાના દિવસે પરિવાર કે મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા જવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. પણ ઘણીવાર જમી લીધા પછી જ્યારે બિલ હાથમાં આવે, ત્યારે તેમાં ચૂપચાપ જોડી દેવામાં આવેલો 'સર્વિસ ચાર્જ' જોઈને આપણો મૂડ બગડી જતો હોય છે. જો તમે પણ વારંવાર રેસ્ટોરન્ટના બિલમાં ઉમેરાતા આ સર્વિસ ચાર્જથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. કડક સરકારી નિયમો અનુસાર, કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ તમારી સંમતિ વિના બિલમાં સર્વિસ ચાર્જ જોડી શકે નહીં. આ ચાર્જ ચૂકવવો એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. આવો જાણીએ ગ્રાહક તરીકેના તમારા અધિકારો અને જો કોઈ હોટલવાળા પૈસા માટે દબાણ કરે તો તેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત.
CCPA એ 'ચાયોસ' સહિત 41 રેસ્ટોરન્ટ્સ સામે કરી કડક કાર્યવાહી
ગ્રાહકોના ખિસ્સા ખાલી કરતી અને બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલતી હોટલો સામે સરકાર હવે પૂરા એક્શન મોડમાં છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરી શકે નહીં અને ગ્રાહકને તે ચૂકવવા દબાણ કરવું એ સદંતર ગેરકાયદેસર છે. રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન પર મળેલી અસંખ્ય ફરિયાદો અને ગ્રાહકોએ પુરાવા રૂપે રજૂ કરેલા બિલના આધારે CCPA એ જાતે જ આ મામલાની નોંધ લીધી છે અને દેશભરની 41 જેટલી પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે.
દંડ સાથે પૈસા રિફંડ કરવાનો આપ્યો આદેશ
આ કાર્યવાહી અંતર્ગત, નિયમોના ભંગ બદલ CCPA એ જાણીતી બ્રાન્ડ 'ચાયોસ' (સનશાઈન ટી હાઉસ પ્રાઈવેટ લિમિટેડ) ને 50,000 રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. આટલું જ નહીં, જે ગ્રાહક પાસેથી ગેરકાયદેસર રીતે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, તેને વ્યાજ સાથે પૈસા પાછા આપવાનો પણ નિર્દેશ કરાયો છે. 'ચાયોસ' ને તેના તમામ આઉટલેટ્સ પર બિલિંગ સોફ્ટવેર તાત્કાલિક અપડેટ કરવાની પણ કડક સૂચના અપાઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ ગ્રાહકના બિલમાં સર્વિસ ચાર્જ આપમેળે ન ઉમેરાય. આ સિવાય બાકીની 40 રેસ્ટોરન્ટ્સના કિસ્સામાં પણ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
શું કહે છે સર્વિસ ચાર્જ અંગેની સરકારી માર્ગદર્શિકા?
કેન્દ્ર સરકાર દ્વારા 4 જુલાઈ, 2022 ના રોજ સર્વિસ ચાર્જ અંગે ખૂબ જ કડક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી હતી. આ નિયમો મુજબ:
સર્વિસ ચાર્જ ચૂકવવો કે નહીં તે માત્ર ને માત્ર ગ્રાહકની ઈચ્છા પર નિર્ભર છે, તે કોઈ પણ રીતે ફરજિયાત નથી.
જો કોઈ ગ્રાહક સર્વિસ ચાર્જ આપવાની ના પાડે, તો રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ તેને એન્ટ્રી આપવાની કે ભોજન પીરસવાની ના ન પાડી શકે. જો તેઓ આવું કરે તો તે ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન ગણાશે.
દરેક રેસ્ટોરન્ટે પોતાના મેનુ કાર્ડ અથવા ડિસ્પ્લે બોર્ડ પર સ્પષ્ટપણે લખવું પડે છે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક છે.
બિલમાં ગરબડ દેખાય તો તરત જ અહીં કરો ફરિયાદ
હવે જો તમે ક્યાંય જમવા જાઓ અને તમારી મરજી વગર બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવ્યો હોય, તો તમારે મૂંગા મોઢે સહન કરવાની જરૂર નથી.
તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈનના સત્તાવાર ટોલ-ફ્રી નંબર 1915 પર સીધો જ કૉલ કરી શકો છો.
આ ઉપરાંત, ગ્રાહક બાબતોના મંત્રાલયના સત્તાવાર NCH પ્લેટફોર્મ અને એપ્લિકેશન પર બિલનો ફોટો અપલોડ કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
જો તપાસ બાદ હોટલ કે રેસ્ટોરન્ટ દોષિત ઠરશે, તો તેમની સામે માત્ર કડક કાનૂની કાર્યવાહી જ નહીં થાય પરંતુ ભારે દંડ પણ ફટકારવામાં આવશે. તો જાગૃત ગ્રાહક બનો અને તમારા અધિકારો માટે અવાજ ઉઠાવો.
Frequently Asked Questions
જો હું સર્વિસ ચાર્જ ન ચૂકવું તો શું રેસ્ટોરન્ટ મને ભોજન પીરસવાની ના પાડી શકે?






















