Mumbai Corona :કોરોનાએ વધારી ચિંતા, 53 કેસ નોંધાતા હડકંપ, BMCએ જાહેર કરી ગાઇડલાઇન
Mumbai Corona News : બીએમસી અધિકારીઓએ કહ્યું છે કે સિંગાપોર, હોંગકોંગ, પૂર્વ એશિયા અને અન્ય દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થવાના સંકેતો છે. બીએમસીનો આરોગ્ય વિભાગ તેને નિયંત્રણમાં રાખવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે.

Mumbai Coronavirus News: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાના સંકેતો મળી રહ્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, BMC એ કોરોના દર્દીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
નવી માર્ગદર્શિકામાં, BMC એ લોકોને માહિતી આપી છે કે મ્યુનિસિપલ હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓની સારવાર અને માર્ગદર્શન માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ પથારી અને ખાસ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોનાને લઈને BMC કર્મચારીઓ ફરી સતર્ક થયા છે.
બીએમસી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં સિંગાપોર, હોંગકોંગ, પૂર્વ એશિયા અને અન્ય દેશોમાં કોવિડના કેસોમાં વધારો થવાના સંકેતો મળ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે.
જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધીમાં, કોવિડ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. મે મહિનાથી થોડા દર્દીઓ જોવા મળ્યા હોવા છતાં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નાગરિકોને પેનિક ન કરવાની સલાહ આપી છે.
કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર ચિંતા વધારી છે. આ નવા વેરિયન્ટના 257 કેશ દેશમાં નોંધાયા છે તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં રાજ્યમાં છ નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ થયું છે. ઉલ્લેખનિય છે કે, 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે. 2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે.
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. કેરળમાં કોરોનાના સૌથી વધુ 95 એક્ટિવ કેસ નોંધાયા છે. તો તમિલનાડુ બીજા ક્રમે છે, જ્યાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે.
ફરી એકવાર, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પ્રશ્ન એ છે કે શું કોરોનાનો આ વેરિયન્ટ 2020 જેવો કહેર વર્તાવશે.





















