ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
અ-વર્ગમાં ૭ જિલ્લા મથકો સહિત ૨૧ નગરપાલિકા અપગ્રેડ, વિકાસ માટે મળશે કરોડોની ગ્રાન્ટ.

Gujarat Urban development: ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યની કુલ ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આ નગરપાલિકાઓને વધુ નાગરિકલક્ષી સુવિધાઓ અને વિકાસ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અને જીવનધોરણમાં સુધારો થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકાર વિકસિત ગુજરાતની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે. શહેરોને ગતિશીલ, જીવંત અને ટકાઉ શહેરી વિકાસથી વધુ સુવિધાયુક્ત બનાવવાના અભિગમ સાથે આ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલા શહેરીકરણ અને શહેરી વસ્તીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારોમાં વધુ માળખાગત સુવિધાઓ અને જનસુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
અપગ્રેડેશનના ભાગરૂપે, રાજ્યમાં અ-વર્ગની નગરપાલિકાઓમાં ૨૧, બ-વર્ગમાં ૨૨ અને ક-વર્ગમાં ૨૬ નગરપાલિકાઓનો ઉમેરો થયો છે. આ રીતે કુલ ૬૯ નગરપાલિકાઓને ઉચ્ચ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, અપગ્રેડેશન પામેલી નગરપાલિકાઓમાં ૭ જિલ્લા મથકો જેવા કે ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ અને રાજપીપળાનો અ-વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રવાસીઓ અને યાત્રાળુઓની વધુ અવરજવરવાળા યાત્રાધામો જેવા કે દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોરને પણ અપગ્રેડેશનનો લાભ મળ્યો છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતા વડનગરને પણ અ-વર્ગની નગરપાલિકામાં સ્થાન આપવામાં આવ્યું છે, જે તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત કરશે.
નગરપાલિકાઓના આ અપગ્રેડેશનથી વિકાસ કામોને વેગ મળશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ નગરપાલિકાઓને વિવિધ વિકાસ કાર્યો માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. અ-વર્ગની દરેક નગરપાલિકાને અંદાજે રૂ. ૨૮ કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને આશરે રૂ. ૨૨ કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧૫.૫ કરોડ અને ડ-વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧૦ કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર થશે. આ ગ્રાન્ટનો ઉપયોગ આંતરમાળખાકીય વિકાસ, આઉટગ્રોથ વિસ્તારના વિકાસ, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે કરવામાં આવશે. સમગ્ર રાજ્યની નગરપાલિકાઓને વિકાસ કામો માટે કુલ અંદાજે ૨૮૮૨ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો...
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે

