Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન NA કૌભાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એક શીટની મદદથી સૌથી મોટા જમીન કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર રાજેન્દ્ર પટેલ,ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા પણ સામેલ હતા. આટલુ જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. 23 ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના રહેણાંક પરિસરમાંથી 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છૂપાવેલી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બરે નોંધાયેલા નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ મારફતે અરજદારો પાસેથી એકઠી કરેલી લાંચની રકમ છે.
ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી હોવાના પૂરાવા મળ્યા
ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું હતું કે,જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરી પાસેથી મળેલા દસ્તાવેજોમાં એક કરોડની લાંચ લીધી હોવાના પૂરાવા પણ હાથ લાગ્યા હતા. ઉપરાંત ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે,જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા પણ આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી હતી જેમાં ઓનલાઇન અરજીનો નંબર,જમીનની વિગત, સર્વે નંબર,ક્યા પ્રકારની અરજી છે સહિતની વિગતો હતી. આ ઉપરાંત ક્યા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા. કૌભાંડ હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીનના NA બાબતે પાવર હતા અને આ પાવરનો તે દુરૂપયોગ કરતો હતો. EDની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે,વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં ફરિયાદી મીડિયા સામે આવ્યા હતા. જમીનના NA વગર જ સોલાર કંપનીએ કામ શરૂ કર્યું હતું. ઘુડખર અભયારણ્ય નજીક હોવા છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટની મંજૂરી આપી હતી. મોટી માલવણ ગામમાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી હતી. 60 કરોડના પ્રોજેક્ટની મંજૂરી સામે 850 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો છે. સંકલન બેઠકથી લઈને પીએમઓ સુધી ખેડૂતે ફરિયાદ કરી હતી. જિલ્લા કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી.

















