Ambalal Patel: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ તૂટી પડશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસશે.

ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસશે. તેમની આગાહી મુજબ આજથી અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનો કહેર ફરી શરૂ થવાની શક્યતા રહેશે. તારીખ 30 અને 31 ઓક્ટોમ્બરમાં સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગો, ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
તેમની આગાહી મુજબ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં "મોન્થા" વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરના સિસ્ટમની અસર અને અરબી સમુદ્રના ડિપ્રેશનની અસરને કારણે 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવું પૂર આવે એવો વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સિસ્ટમ અસર પશ્વિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી 2 નવેમ્બર સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે. તારીખ 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 4 થી 8 નવેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા અને બંગાળ ઉપસાગર સક્રિય રહેતા નવેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. નવેમ્બરના બીજા સપ્તાહથી બંગાળ ઉપ સાગર વધારે સક્રિય થતા ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતા છે. ભારે વાવાઝોડાના કારણે ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા છે.
હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે
22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારેથી અતિભારે હિમવર્ષા થશે. જેથી ગુજરાતમાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે. ઉતર ભારતમાં ભારે બરફ વર્ષા થશે.
અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું છે. હજુ પણ આવા લો પ્રેશર સર્જાતા રહેશે. ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી વરસાદ રહેશે.





















