ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
રાજ્ય સરકારે ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી, ઓનલાઇન અરજી હવે 15 એપ્રિલ સુધી કરી શકાશે.

Gujarat RTE admission 2025: ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ અને વંચિત બાળકોને મફત શિક્ષણ આપવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો છે. સરકારે આવક મર્યાદાના સ્લેબમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનો લાભ હવે વધુ પરિવારોને મળી શકશે. આ સાથે જ, ઓનલાઇન અરજી કરવાની તારીખોમાં પણ લંબાવવામાં આવી છે.
અગાઉ, ગ્રામ્ય વિસ્તાર માટે RTE હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા હતી, જ્યારે શહેરી વિસ્તાર માટે આ મર્યાદા 1.50 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી હતી. જો કે, હવે સરકારે આ મર્યાદાને સુધારીને સમગ્ર રાજ્યમાં એકસમાન 6 લાખ રૂપિયા કરી દીધી છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં એવા પરિવારોને રાહત મળશે જેઓ ઓછી આવકના કારણે અગાઉ RTE હેઠળ અરજી કરવા માટે પાત્ર ન હતા.
આવક મર્યાદામાં વધારો કરવાની સાથે જ રાજ્ય સરકારે ઓનલાઇન અરજી કરવાની તારીખોને પણ લંબાવી છે. જે પરિવારો હજુ સુધી RTE હેઠળ પોતાના બાળકોના પ્રવેશ માટે અરજી કરી શક્યા નથી, તેઓ હવે 15 એપ્રિલ, 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ ટૂંક સમયમાં પૂરી થવાની હતી, પરંતુ આવક મર્યાદામાં ફેરફારને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ RTEના નિયમોમાં ફેરફારના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આવક મર્યાદામાં વધારો અને અરજીની તારીખ લંબાવવાનો નિર્ણય આ જ પ્રતિબદ્ધતાનો ભાગ છે.
સરકારના આ નિર્ણયથી રાજ્યના અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમના બાળકોને સારી ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ અપાવવાની તક મળશે. હવે વાલીઓએ 15 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં વિસ્તૃત સૂચનાઓ અને માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે.
RTE પ્રવેશમાં અગ્રતા ધરાવતી 13 કેટેગરી
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
- બાલગૃહના બાળકો
- બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો
- મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) મુજબના દિવ્યાંગ બાળકો
- (ART) એન્ટિ રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
- ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળના જવાનના બાળકો
- જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
- રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- 0 થી 20 આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય)ના BPL કુટુંબના બાળકો
- અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
- જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
