(Source: ECI | ABP NEWS)
MGNREGA કૌભાંડમાં મોટી એક્શનઃ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બીજા પુત્રને પણ પોલીસે દબોચ્યો
MGNREGA scam: બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડને પોલીસ દબોચી લીધો છે. કિરણ ખાબડ પર કામ કર્યા સિવાય મનરેગા યોજનામાંથી રૂપિયા ચાઉં કરી જવાનો આરોપ લાગ્યો હતો

MGNREGA scam: દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના બીજા પુત્રની પણ આખરે ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પહેલા જ ધરપકડ કરાઇ હતી, હવે આજે બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. બીજા પુત્રની ધરપકડ થતા રાજકારણ વધુ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસ પકડમાં આવી ગયો છે, મનરેગાના કરોડોના ગોટાળાના આરોપમાં બચુ ખાબડના બીજા પુત્રની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડને પોલીસ દબોચી લીધો છે. કિરણ ખાબડ પર કામ કર્યા સિવાય મનરેગા યોજનામાંથી રૂપિયા ચાઉં કરી જવાનો આરોપ લાગ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં દાહોદ જિલ્લામાં 71 કરોડના મનરેગા કામમાં ગોટાળા થયા હતા. આ કેસમં અત્યાર સુધી કિરણ ખાબડની સાથે કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, બળવંત ખાબડ હાલ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને હવે કિરણ ખાબડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારના મંત્રીના બન્ને પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની દાહોદમાં પોલીસે ધરપકડ કરી હતી. મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉં કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લાગ્યો હતો. આ ઉપરાંત તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો કરાયા હતા મંજૂર. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજંસી મંત્રીના પુત્રોના નામે હતી. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે.
શું હતો આખો મામલો ?
નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.





















