PM મોદીની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો ધસારો, બરડા બન્યું સિંહોનું બીજું ઘર
સાસણગીરમાં ૧૮%થી વધુનો વધારો, બરડા સફારીમાં પ્રવાસીઓની સંખ્યા એક મહિનામાં બમણી થઈ.

Gir tourism increase: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલા ગુજરાત પ્રવાસ દરમિયાન સાસણગીરની જંગલ સફારીની મુલાકાત લીધી હતી, જે બાદ ગીર પ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમના ૧ થી ૩ માર્ચ, ૨૦૨૫ના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે, એટલે કે ૩ માર્ચના રોજ, તેમણે સાસણગીર ખાતે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે ગીર અભયારણ્યમાં સિંહોને નિહાળવાનો આનંદ માણ્યો હતો અને ખુલ્લી જીપમાં સવારી કરીને સિંહોના ફોટા પણ લીધા હતા. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે તેમની મુલાકાત પહેલાંના ૨૦ દિવસમાં ગીરમાં ૪૯,૬૮૧ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે મુલાકાત પછીના ૨૦ દિવસમાં આ સંખ્યા વધીને ૫૯,૦૦૯ થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૮% નો વધારો સૂચવે છે.
વડાપ્રધાનની ગીર જંગલ સફારીની મુલાકાતની અસર પોરબંદર જિલ્લામાં આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં પણ દેખાઈ રહી છે, જેને હવે એશિયાઇ સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તેમના પ્રવાસ પછી બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં ફેબ્રુઆરી, ૨૦૨૫ની તુલનામાં માર્ચ, ૨૦૨૫માં બમણો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાં ફક્ત ૧૦૮ પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી હતી, તેની સામે માર્ચ મહિનામાં આ આંકડો ૨૧૫ પર પહોંચ્યો છે.
બરડા વન્યજીવ અભયારણ્ય હવે એશિયાઇ સિંહોનું બીજું ઘર બન્યું છે. અત્યાર સુધી જૂનાગઢનું ગીર અભયારણ્ય જ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ હતું. પરંતુ, પોરબંદર જિલ્લામાં આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય આવાસ, ભૌગોલિક વિસ્તાર અને ભૂમિપ્રદેશની બાબતમાં ગીર સંરક્ષિત વિસ્તાર સાથે ઘણી સમાનતા ધરાવે છે. સિંહ જનીનપૂલના સંરક્ષણ માટે બરડા અભયારણ્ય ખૂબ જ મહત્વનું સ્થળ છે અને ઐતિહાસિક રીતે પણ તે સિંહોનું નિવાસસ્થાન રહ્યું છે. જો કે, બરડા અભયારણ્યમાં સિંહોનું છેલ્લું જૂથ ૧૮૭૯માં જોવા મળ્યું હતું, ત્યારબાદ આ વિસ્તારમાંથી સિંહો લુપ્ત થઈ ગયા હતા.
ગુજરાત વન વિભાગે સિંહોને તેમના ઐતિહાસિક રહેઠાણોમાં ફરીથી સ્થાપિત કરવા માટે બરડા વન્યજીવ અભયારણ્યમાં આહાર શૃંખલાને પુનઃસ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ મુખ્યત્વે ચિતલ અને સાબરના સંવર્ધન અને પુનઃસ્થાપન પર કેન્દ્રિત હતો, જે સિંહો માટે જરૂરી શિકાર પ્રજાતિઓ છે. આ સંરક્ષણના પ્રયત્નોને ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ મોટી સફળતા મળી, જ્યારે બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર એશિયાઇ સિંહની હાજરી નોંધાઈ. આમ, સિંહો એક સદી પછી તેમના ઐતિહાસિક નિવાસસ્થાનમાં પાછા ફર્યા. બરડા અભયારણ્યમાં ૮ સિંહોની વસ્તી સ્થિર થયા બાદ તેને સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવાની યોજના બનાવવામાં આવી હતી. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, આજે બરડા સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં ૧ નર, ૫ માદા સિંહ અને ૧૧ બાળસિંહ સહિત કુલ ૧૭ સિંહોનો વસવાટ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ‘ખૂશ્બૂ ગુજરાત કી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેણે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા હતા. જેના પરિણામે ગીર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના પ્રવાસન નકશા પર પણ સ્થાન પામ્યું છે.
ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે માત્ર વન્યજીવ સંરક્ષણમાં જ મદદ કરી નથી, પરંતુ હજારો સ્થાનિક લોકોની આવકમાં પણ વધારો કર્યો છે, જેનાથી આ વિસ્તારના ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩૩,૧૫,૬૩૭ પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.





















