ગુજરાતમાં હવે LC અને જન્મ પ્રમાણપત્રમાં અટક ફરજિયાત પાછળ લખાશે: શિક્ષણ વિભાગનો પરિપત્ર!
જૂન ૨૦૨૫થી અમલ: APAAR ID, આધાર અને LC માં નામની એકરૂપતા જાળવવા સૂચના; જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં પણ સમાન પેટર્ન લાગુ.

Gujarat surname change circular: ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, જૂન ૨૦૨૫ થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળકોને આપવામાં આવતા શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate LC) માં અને નવા પ્રવેશ લેતા બાળકોના જનરલ રજિસ્ટરમાં હવેથી બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવો પડશે. આ નિર્ણય APAAR ID ની કામગીરી અને આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગની ચાલી રહેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી તમામ દસ્તાવેજોમાં નામની એકરૂપતા જળવાઈ રહે.
જન્મ મરણ પ્રમાણપત્રોમાં પણ સમાનતા
ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પણ જન્મ અને મરણ નોંધણી એકમો પર એકસૂત્રતા જળવાઈ રહે તે માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, ત્યાર પછી મિડલ નેમ (એટલે કે પિતા/માતા અથવા પતિનું નામ) અને છેલ્લે અટક લખવાની રહેશે.
નામકરણનો નિયમ કેમ બદલાયો?
અગાઉ આ પ્રકારની કોઈ ચોક્કસ માર્ગદર્શિકા ન હોવાને કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધારકાર્ડમાં પોતાની રીતે નામ કે અટક લખાવતા હતા. આના કારણે સરકારને આઈડી અપડેટ કરવામાં અને ડેટા લિંક જનરેટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે હવેથી તમામ દસ્તાવેજોમાં નામ લખવાની એકસરખી પેટર્ન લાગુ કરવામાં આવી છે.
'યુનિફોર્મ નામકરણ પોલિસી' નો અમલ
આ નવા નિયમો હેઠળ, બાળકના પિતા અને માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી મહાનગરપાલિકાઓ દ્વારા ઇશ્યુ થતા જન્મ મરણના પ્રમાણપત્રોમાં નામ અને સરનેમ પહેલાં લખવા મામલે ઊભી થતી મૂંઝવણ અને ફરિયાદોનો અંત આવશે. આને 'યુનિફોર્મ સિવિલ કોડ'ની જેમ 'યુનિફોર્મ નામકરણ પોલિસી' તરીકે પણ જોઈ શકાય છે.
આધારકાર્ડમાં ફેરફાર અંગે સ્પષ્ટતા
આધારકાર્ડમાં પણ નવા નિયમો મુજબ નામની પેટર્ન અપનાવવી પડશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે જે લોકો પાસે જૂની સિસ્ટમવાળા આધારકાર્ડ છે, તેમણે અત્યારે કોઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ, જ્યારે ભવિષ્યમાં આધારકાર્ડમાં કોઈ ફેરફાર કરવાનો થાય અથવા નવું આધારકાર્ડ કઢાવવાનું થાય, ત્યારે આ નવી સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે, નવું નામ, ત્યાર બાદ પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના અમલમાં આવશે.
જન્મ મરણના કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રમાણપત્ર માટે ઈ ઓળખ ગુજરાત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેનું URL crs.guj.nic.in છે. જેના આઈડી પાસવર્ડ જે તે જિલ્લાના NIC ઓફિસર આપશે. બાળકના જન્મના ૨૧ દિવસ પછી જન્મનું પ્રમાણપત્ર કઢાવી લેવું ફરજિયાત છે. આ નિયમોનો હેતુ દસ્તાવેજોમાં એકરૂપતા અને પારદર્શિતા લાવવાનો છે.





















