Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો
Heatwave: હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે.
- ઉકળાટ અને લૂ થી બચવા તબીબો દ્વારા વિશેષ સાવચેતી રાખવાની સલાહ.
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસની સરખામણીએ બુધવારે ગરમીમાં આંશિક ઘટાડો થતા 42.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે.
આગામી 3 દિવસ પણ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ જ રહેશે. બુધવારે 43 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ ઉપરાંત સાત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં ગાંધીનગરમાં 42.2, અમરેલીમાં 42.1, વડોદરામાં 40.2, ડીસામાં 40.2 ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે આકરા તાપના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અસહ્ય તાપના કારણે માથું દુખાવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસ તેમજ ડીહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે.
અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ છે. જે આંકડાઓ ચિંતાજનક છે. ગરમીની સાથે મચ્છરજ્ન્ય રોગચાળો પણ વકર્યો છે. ડેન્ગ્યુમાં 154 સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ચાર દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મેલેરિયામાં 470 સેમ્પલમાંથી ચાર પોઝિટિવ કેસ અને સ્વાઈન ફ્લૂમાં એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. અસહ્ય ગરમી અને લૂ થી બચવા માટે તબીબોએ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી હતી. તો બપોરના 12:00 વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી, છાશ તેમજ નાળિયેરનું પાણી પીવું જોઈએ.
આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
સુરતમાં સરકારી પરિપત્રનો ઉલ્લંઘન, ગરમીમાં કામદારો મજબૂર
સુરતમાં આકરા તાપ વચ્ચે મેટ્રો પ્રોજેક્ટના કામદારો પાસે નિયમોનો ભંગ કરીને કામ લેવાતું હોવાનો મુદ્દો સામે આવ્યો છે. મજૂરાગેટ વિસ્તારમાં કરાયેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે આગ વરસાવતી ગરમી હોવા છતાં કામદારોને કામ કરવા મજબૂર કરવામાં આવે છે. સરકારના પરિપત્ર મુજબ બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકો પાસે કામ ન લેવુ જોઈએ, છતાં આ નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે.કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે. પ્રશ્ન એ છે કે શું શ્રમ વિભાગ માત્ર પરિપત્ર જાહેર કરીને જ સંતોષ માનશે? શું અધિકારીઓને આ દૃશ્યો દેખાતા નથી? હવે જોવાનું રહ્યું કે નિયમોનો ભંગ કરનાર કોન્ટ્રાક્ટરો સામે સરકાર ક્યારે કડક કાર્યવાહી કરે છે.






















