Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કરીને રાત્રે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કરીને રાત્રે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેર માટે હજુ પણ ભારે વરસાદની સંભાવના યથાવત હોવાનું જણાવાયું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ અનેક વિસ્તારોમાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ રહી શકે છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક પ્રભાવિત થવા અને વૃક્ષો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
હવામાન વિભાગે વરસાદની સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ્સને નુકસાન પહોંચવા અને વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા હોવાથી ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ
આ નાઉકાસ્ટ રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી માટે માન્ય છે. હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા સ્થળે ન જવા તેમજ સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.






















