ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
ઝેરીલા દારૂથી ભાવનગર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 20 લોકો હાલ સારવાર હેઠળ છે. ઝેરીલો દારુ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, ઘનશ્યામ જાડેજા અને નરેન્દ્ર યાદવ અને કનકસિંહ ગોહિલનું મોત થયું છે. મોડીરાત્રે ઘોઘા સર્કલ વિસ્તારમાં વધુ એકની લથડી તબિયત હતી. અવિનાશ ડાંગર નામના વ્યકિતની ડુપ્લીકેટ દારૂના સેવનથી તબિયત લથડ્યાની આશંકા છે. જેથી અવિનાશ ડાંગરને ગંભીર હાલતમાં ભાવનગર સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડયા છે. માહિતી મુજબ ખરકડી ગામના વિશ્વરાજસિંહ ગોહિલએ પોલીસ ભરતીમાં પસંદગી થતા તેમણે પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરપાલ ગોહિલ, જયદિપ ગોહિલને પાર્ટી આપી હતી. જયદિપ ગોહિલ સિવાય ત્રણેયે રોયલ સ્ટેગ દારુ પીતા ઉપેન્દ્રસિંહ ગોહિલનું 18 ઓગસ્ટે મોત નિપજ્યું હતું. જ્યારે વિશ્વરાજસિંહ ગોહિલ ગંભીર હાલતમાં અહંમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબો મુજબ આલ્કોહોલમાં મિથેનોલ અથવા તો ઈથેનોલનું વધુ પ્રમાણ હોવાથી ઝેરી અસર થઈ છે.





















