ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે: શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનો કડક સંદેશ
ગેરવહીવટ કે ગેરરીતિ જણાશે તો કડક પગલાં લેવાશે, જૂનાગઢની શાળામાં નબળો સ્લેબ તોડી નવેસરથી બાંધવાનો આદેશ.

Bhupendra Patel government: ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે કોઈપણ પ્રકારની લાલીયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે અને જો કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે.
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાજેતરમાં જૂનાગઢ જિલ્લાની ખજૂરી હડમતીયા શાળામાં નબળા બાંધકામની ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ કર્યાના બીજા જ દિવસે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા બાંધકામની ગુણવત્તા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને શિક્ષણ રાજ્ય મંત્રીએ તાત્કાલિક સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
મંત્રીની સૂચનાને પગલે જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, ટીઆરપી અને એજન્સીના પ્રતિનિધિઓએ તાત્કાલિક રાત્રે ૮:૩૦ કલાકે શાળાની મુલાકાત લીધી અને સ્થાનિક આગેવાનો સાથે વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા સંતોષકારક ન જણાતા શિક્ષણમંત્રીએ તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, તેમણે એજન્સી અને સંબંધિત અધિકારીને નોટિસ આપવા પણ જણાવ્યું હતું અને આ કામમાં બેદરકારી દાખવનાર ઇજનેરને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો છે.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ એજન્સીને ૭ દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા અને તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા જણાવ્યું છે. તેમણે કામગીરીના ફોટોગ્રાફ્સ સાથેનો અહેવાલ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવા પણ સૂચના આપી છે. શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને જવાબદારીનો સ્પષ્ટ સંદેશ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ રીતે બાંધકામ તોડીને ફરીથી બનાવવામાં આવશે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીની સૂચના અનુસાર, આજે જૂનાગઢની ખજુરી હડમતીયા શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડીને નવેસરથી બાંધવાનું કામ શાળા સંચાલન સમિતિ અને સ્થાનિક તંત્રની દેખરેખ હેઠળ ઝડપથી ચાલી રહ્યું છે. નવો સ્લેબ બંધાયા બાદ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વધુ સલામત અને આરામદાયક શૈક્ષણિક માહોલ ઊભો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામની ગુણવત્તા નબળી જણાતા તાત્કાલિક પગલાં લઈને બાંધકામ તોડાવીને ગુણવત્તાસભર બાંધકામના આદેશ આપ્યા હતા. આમ, શિક્ષણ મંત્રીની આ સતત કાર્યવાહી દર્શાવે છે કે રાજ્ય સરકાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુણવત્તાયુક્ત અને સલામત શિક્ષણ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.





















