પાકિસ્તાનની જેલમાં આપણા 194 ભાઈઓ, 123 તો ગુજરાતના જ છે, સરકારે સંસદમાં કર્યો મોટો ખુલાસો
રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી, 2021થી અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં.

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી સૌથી વધુ 123 માછીમારો ગુજરાત રાજ્યના છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધનસિંહે આપી હતી.
મંત્રીના જણાવ્યા અનુસાર, કેદ કરાયેલા 123 ગુજરાતી માછીમારોમાંથી 33 માછીમારો 2021ની સાલથી પાકિસ્તાની જેલમાં બંધ છે. જ્યારે 68 માછીમારો 2022થી, 9 માછીમારો 2023માં અને 13 માછીમારોને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા પકડવામાં આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.
વિદેશ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ એકબીજાની જેલોમાં કેદ પોતાના દેશના નાગરિકો અને માછીમારોની યાદીની આપ-લે કરે છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ગત 1લી જાન્યુઆરી, 2025ના રોજ પાકિસ્તાને આપેલી યાદીમાં 217 ભારતીય માછીમારો તેમની જેલમાં હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં એક ભારતીય માછીમારનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે 22 અન્ય માછીમારોને મુક્ત કરીને ભારતને સોંપવામાં આવ્યા છે.
ભારત સરકાર ભારતીય માછીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારની અટકાયતના સમાચાર મળતા જ ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ તાત્કાલિક કાર્યવાહી કરે છે. દૂતાવાસ દ્વારા પાકિસ્તાન સરકાર પાસે આ માછીમારો સાથે ભારતીય રાજદૂતની મુલાકાતની મંજૂરી માંગવામાં આવે છે. સાથે જ તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરીને સ્વદેશ પરત મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ભારત સરકાર કેદ કરાયેલા માછીમારોને કાનૂની સહાયતા સહિત તમામ સંભવિત મદદ પૂરી પાડે છે. પાકિસ્તાન સરકાર સમક્ષ ભારતીય દૂતાવાસ દ્વારા સતત ભારતીય માછીમારોની ઝડપી મુક્તિ અને તેમના વતન પરત ફરવાનો મુદ્દો ઉઠાવવામાં આવે છે. એટલું જ નહીં, આ મામલાને સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે અને તેમના જીવનનિર્વાહને ધ્યાનમાં રાખીને ઉકેલવા માટે પણ ભાર મૂકવામાં આવે છે.
માછીમારોની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે ‘ઈન્ડિયા-પાકિસ્તાન એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ 2008’માં આ અંગેની માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, બંને દેશની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી ‘ઈન્ડિયા-પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ પણ કેદીઓ અને માછીમારો સાથે માનવીય વર્તન અને તેમની વહેલી મુક્તિ માટે ભલામણો કરે છે. આ કમિટીની સ્થાપના 2008માં બંને દેશની સરકારો દ્વારા કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તેની સાત બેઠકો યોજાઈ ચૂકી છે.
વિદેશ રાજ્યમંત્રીના જવાબમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારના માછીમારી વિભાગ દ્વારા માછીમારોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, ગુજરાત સરકાર પણ પાકિસ્તાનની જેલમાં કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાહત યોજના ચલાવી રહી છે. આમ, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કેદ કરાયેલા માછીમારો અને તેમના પરિવારોની મદદ માટે સતત પ્રયત્નશીલ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
