241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની માહિતી; 241 લોકોનો ભોગ લેનાર અકસ્માતમાં પાઇલટ્સ પર જ દોષનો ટોપલો ઢોળવા સામે મૃતક પાઇલટના પિતાનો વિરોધ, નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ.

ahmedabad plane crash investigation: અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ એ જ ગોઝારો વિમાન અકસ્માત છે જેમાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે આ દુર્ઘટનાનો અંતિમ તપાસ રિપોર્ટ આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં આવી જવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે. કોર્ટે આ રિપોર્ટ સીલબંધ કવરમાં જમા કરાવવાનો કડક આદેશ આપ્યો છે અને કેસની આગામી સુનાવણી 13 ઓક્ટોબરના રોજ મુકરર કરી છે. બીજી તરફ, ક્રેશ થયેલા પ્લેનના મુખ્ય પાઇલટના પિતા અને અન્ય અરજદારોએ માત્ર પાઇલટ્સ પર દોષનો ટોપલો ઢોળવાનો વિરોધ કરી એકદમ નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે. આખી દુર્ઘટનાનું સાચું કારણ 15 સપ્ટેમ્બરે આવનારા રિપોર્ટમાં સ્પષ્ટ થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ ચાલી રહી છે તપાસ
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે આ સમગ્ર અકસ્માતની તપાસ આંતરરાષ્ટ્રીય નિયમો અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. આટલી મોટી હવાઈ દુર્ઘટનાની તપાસ પ્રક્રિયામાં અન્ય દેશોની એજન્સીઓ પણ જોડાયેલી હોવાથી, ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં થોડો વધારે સમય લાગી રહ્યો છે. પરંતુ, સરકાર 15 સપ્ટેમ્બર સુધીમાં આ રિપોર્ટ પૂરો કરીને કોર્ટ સમક્ષ રજૂ કરશે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તપાસનો આ અંતિમ અહેવાલ એક સીલબંધ પરબિડીયામાં (Sealed Cover) જ કોર્ટમાં રજૂ કરવામાં આવે.
પાઇલટ્સ પર દોષ ઢોળવાના પ્રયાસ સામે વિરોધ
આ દરમિયાન, ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના મુખ્ય પાઇલટ સુમિત સભરવાલના પિતા અને અન્ય અરજદારોએ કોર્ટ સમક્ષ પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ દલીલ કરી છે કે આ ગોઝારા અકસ્માતમાં 241 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તપાસ દરમિયાન આખા અકસ્માતની જવાબદારી માત્ર પાઇલટ્સ પર જ ઢોળી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે જરાય યોગ્ય નથી.
આ પણ વાંચોઃ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચને લઈ આ વાત માની લીધી હોત તો અમદાવાદ પ્લેન ક્રેશ ન થાત! FAAએ 2018માં ચેતવણી આપી હતી
અરજદારોની માંગ: ન્યાયી અને પારદર્શક તપાસ જરૂરી
અરજદારોએ કોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અકસ્માતના સાચા કારણો લોકો સામે આવવા જોઈએ અને પૂરતા પુરાવા વિના માત્ર કોઈ એક જ પક્ષને જવાબદાર ઠેરવતા રોકવા માટે એક નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી ખૂબ જ જરૂરી છે. તેમણે એવી પણ માંગ કરી છે કે આ કેસને લગતા તમામ મહત્વપૂર્ણ પુરાવાઓને સુરક્ષિત રાખવામાં આવે અને તેની ઝીણવટભરી તપાસ થાય. તેમણે દલીલ કરી હતી કે આટલી મોટી હવાઈ દુર્ઘટનામાં કોઈપણ પુરાવાનો નાશ થાય કે તેની અવગણના કરવામાં આવે, તો આખી તપાસ જોખમમાં મુકાઈ શકે છે.
હવે આ કેસ સાથે જોડાયેલા તમામ લોકો અને પીડિત પરિવારોની નજર 15 સપ્ટેમ્બરે અપેક્ષિત તપાસ અહેવાલ પર મંડાયેલી છે, જે અકસ્માતના અસલી કારણો અને જવાબદારીઓ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ કરશે.






















