10 વર્ષમાં દેશમાં 93,000 શાળાઓને લાગ્યા તાળા! સૌથી વધુ યુપી અને એમપીમાં; સંસદમાં સરકારે આપ્યા આંકડા
ગરીબ વિદ્યાર્થીઓ જશે ક્યાં? યુપીમાં સૌથી વધુ 24,600 શાળાઓ બંધ; શિક્ષણ રાજ્યમંત્રીએ રજૂ કર્યા ચિંતાજનક આંકડા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ હજારો સ્કૂલોનું અસ્તિત્વ મિટ્યું.

93000 Government Schools Closed: દેશની શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને ગ્રામીણ પંથકના બાળકોના ભવિષ્યને લઈને સંસદના 'બજેટ સત્ર 2026' (Budget Session 2026) માં એક અત્યંત ચિંતાજનક ખુલાસો થયો છે. લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં આશરે 93,000 જેટલી સરકારી શાળાઓ (Government Schools) ને કાયમી તાળા મારી દેવામાં આવ્યા છે. શિક્ષણના અધિકાર (RTE) ની વાતો વચ્ચે આ આંકડો વાસ્તવિકતાનો અરીસો બતાવે છે.
આ મુદ્દો બિહારના કોંગ્રેસ સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદ અને રાજસ્થાનના ભજનલાલ જાટવે ઉઠાવ્યો હતો. તેમણે શિક્ષણ મંત્રાલય પાસે સરકારી શાળાઓની સ્થિતિ અંગે જવાબ માંગતા ચિંતા વ્યક્ત કરી હતી કે શાળાઓ બંધ થવાથી ગરીબ અને વંચિત વર્ગના બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. જેના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સત્તાવાર ડેટા રજૂ કર્યો હતો.
સરકારી આંકડાઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે દાયકાના શરૂઆતના વર્ષોમાં શાળાઓ બંધ થવાની ગતિ ખૂબ ઝડપી હતી. વર્ષ 2014-15 થી 2019-20 ના માત્ર 6 વર્ષના ગાળામાં જ દેશભરમાંથી 70,000 થી વધુ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી, જે આઝાદી પછીનો સૌથી મોટો આંકડો માનવામાં આવે છે.
ત્યારબાદના સમયગાળામાં એટલે કે 2020-21 થી 2024-25 વચ્ચે કોવિડ કાળ અને તે પછીના સમયમાં આ ગતિ થોડી ધીમી પડી હતી. તેમ છતાં, આ સમય દરમિયાન 18,700 થી વધુ શાળાઓ બંધ થઈ છે, જે દર્શાવે છે કે સરકારી શાળાઓ ઘટવાની પ્રક્રિયા હજુ અટકી નથી અને શિક્ષણ વ્યવસ્થા સંકોચાઈ રહી છે.
રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો, શાળાઓ બંધ થવાના મામલે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) મોખરે છે. ઉત્તર પ્રદેશમાં આ સમયગાળામાં સૌથી વધુ 24,600 શાળાઓ બંધ થઈ છે. જ્યારે બીજા ક્રમે મધ્ય પ્રદેશ આવે છે જ્યાં 22,400 શાળાઓનું અસ્તિત્વ કાયમ માટે મટી ગયું છે. એમપીમાં તો છેલ્લા પાંચ વર્ષમાં જ 6,900 શાળાઓ બંધ થઈ છે.
અન્ય રાજ્યોની સ્થિતિ પણ ગંભીર છે. ઓડિશામાં 5,400, ઝારખંડમાં 5,000 અને રાજસ્થાનમાં 2,500 થી વધુ શાળાઓ બંધ થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શિક્ષણ પર માઠી અસર પડી છે, જ્યાં તાજેતરના વર્ષોમાં 4,400 શાળાઓને તાળા લાગી ગયા છે. આ આંકડાઓ દેશના પાયાના શિક્ષણ માળખા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.























