Cyclone Montha: આજે આંધ્રપ્રદેશના કાકીનાડા પાસે ટકરાશે ચક્રવાત મોંથા, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
Cyclone Montha: સોમવારે છ રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદ શરૂ થયો હતો.

Cyclone Montha: આજે ચક્રવાત મોંથા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. સોમવારે છ રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર સવારે મોંથા એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને સાંજ કે રાત્રિ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના બંદર કાકીનાડા નજીક ટકરાશે.
Cyclone Montha to intensify into severe storm, Andhra braces for landfall tonight
— ANI Digital (@ani_digital) October 28, 2025
Read @ANI Story l https://t.co/i5GU0htI2r#CycloneMontha #AndhraPradesh #Landfall #Cyclone pic.twitter.com/YjVH7lG53c
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરમિયાન પવનની મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. ચક્રવાત મોંથાના ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાતની તૈયારીઓ વિશે પૂછપરછ કરવા માટે મુખ્યપ્રધાન નાયડુ સાથે ફોન પર પણ વાત કરી હતી. માહિતી ટેકનોલોજી પ્રધાન નારા લોકેશને વડા પ્રધાન કાર્યાલય (PMO) સાથે સંકલન કરવા માટે કહેવામાં આવ્યું છે. નાયડુએ જણાવ્યું હતું કે વડાપ્રધાને ચક્રવાત મોંથાનો સામનો કરવા માટે રાજ્યને કેન્દ્રીય સહાયની ખાતરી આપી છે.
મુખ્યપ્રધાન નાયડુએ રીઅલ ટાઇમ ગવર્નન્સ સિસ્ટમ (RTGS) દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં કૃષ્ણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેવી જ રીતે ગુંટૂર, બાપટલા, NTR, પાલનાડુ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડા મોંથાને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 50,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. કોઈપણ ઘટનાનો સામનો કરવા માટે NDRF અને SDRF ટીમો પણ સ્ટેન્ડબાય પર છે.
માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે
દરિયાકાંઠાના રાજ્યોના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે સોમવારે અહેવાલ આપ્યો હતો કે 17 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું ચક્રવાતી વાવાઝોડું બપોરે 2:30 વાગ્યે પશ્ચિમ-મધ્ય અને નજીકના દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત હતું. આ વિસ્તાર તમિલનાડુમાં ચેન્નઈથી લગભગ 440 કિમી પૂર્વમાં, આંધ્રપ્રદેશમાં કાકીનાડાથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમથી 530 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ઓડિશામાં ગોપાલપુરથી 710 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે.
કર્મચારીઓની રજા રદ કરાઈ
આઇએમડીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાક દરમિયાન ચક્રવાત પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની ધારણા છે. દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશ અને પૂર્વ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરી છે. પ્રતિકૂળ હવામાનને કારણે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમિલનાડુ સરકારે લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે.
તેલંગણા: બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ
હવામાન વિભાગે આગામી બે દિવસમાં તેલંગણામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. પેડ્ડાપલ્લી, જયશંકર ભૂપલપલ્લી અને અન્ય જિલ્લાઓમાં 28 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાથી 29 ઓક્ટોબરના રોજ સવારે 8:30 વાગ્યા સુધી વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આદિલાબાદ, કોમારામ ભીમ અને અન્ય ઘણા જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ રહેશે.
કેરળ: ભારે વરસાદને કારણે બે લોકોના મોત
સોમવારે કેરળના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અલપ્પુઝા જિલ્લામાં, અર્થુનકલ દરિયા કિનારા નજીક એક માછીમારનું બોટ પલટી જતાં મૃત્યુ થયું. અંગમાલી નજીક મુકનૂરમાં વીજળી પડવાથી પશ્ચિમ બંગાળના એક વ્યક્તિનું મૃત્યુ થયું. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કોઝિકોડ, કાસરગોડ, કન્નુર, કોટ્ટાયમ અને પથાનામથિટ્ટા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
તમિલનાડુ: ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ
તમિલનાડુની રાજધાની ચેન્નઈ અને અન્ય ત્રણ જિલ્લાઓમાં સોમવારે દિવસભર ભારે વરસાદ પડ્યો હતો. પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડિરેક્ટર બી. અમુધાએ જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં ચેન્નઈ ઉપરાંત, રાનીપેટ, તિરુવલ્લુર અને કાંચીપુરમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, અને વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુમાં પણ ભારે વરસાદની આગાહી છે.
બંગાળ: પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનો ભય
મોંથા ચક્રવાતને કારણે સોમવારે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે દાર્જિલિંગ અને કલિમપોંગ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી પણ આપી છે. દક્ષિણ બંગાળના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે મંગળવાર અને શુક્રવાર વચ્ચે ઉત્તર અને દક્ષિણ 24 પરગના, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા, પૂર્વ અને પશ્ચિમ વર્ધમાન, બીરભૂમ અને મુર્શિદાબાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.





















