હિન્દુઓએ ત્રણ બાળકો પેદા કરે, મંદિરો પરથી સરકારી નિયંત્રણ હટવું જોઈએ: મહાકુંભમાં VHPનો મહત્વપૂર્ણ નિર્ણય
મથુરા-કાશી સહિત દેશભરના મંદિરોને મુક્ત કરવા અને વસ્તી સંતુલન જાળવવા પર ભાર; વકફ બોર્ડની સત્તા પર અંકુશ લગાવવાની માંગ.

મહાકુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની કેન્દ્રીય માર્ગદર્શક બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં દેશના અગ્રણી સંતોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં હિન્દુ સમાજની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકના મુખ્ય નિર્ણયો
મંદિરોની મુક્તિ: બેઠકમાં દેશભરના હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે એક જાગરણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન આંધ્રપ્રદેશના વિજયવાડાથી શરૂ થયું છે. સંતોએ માંગ કરી હતી કે તમામ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવે, સરકારી નિયંત્રણ સ્થાપિત કરતા કાયદાઓ રદ કરવામાં આવે અને મંદિરોનું સંચાલન શ્રદ્ધા ધરાવતા ભક્તોને સોંપવામાં આવે.
વસ્તી સંતુલન: ઘટતા જન્મ દર અને વસ્તીમાં અસંતુલનને ધ્યાનમાં રાખીને, માર્ગદર્શક મંડળે હિન્દુ પરિવારોને ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા માટે આહવાન કર્યું હતું, જેથી વસ્તીનું સંતુલન જળવાઈ રહે.
વકફ બોર્ડ પર અંકુશ: બેઠકમાં વકફ બોર્ડની અમર્યાદિત સત્તાઓને નિયંત્રિત કરવા માટે કાયદામાં સુધારાને પણ સમર્થન આપવામાં આવ્યું હતું અને આ કાયદો તાત્કાલિક પસાર કરવાની માંગ કરવામાં આવી હતી.
મથુરા-કાશી-અયોધ્યા: માર્ગદર્શક મંડળે 1984ની ધર્મ સંસદના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો હતો કે સંત સમાજ, હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ અયોધ્યા, મથુરા અને કાશીમાં ત્રણ મંદિરોની પ્રાપ્તિ માટે કાર્યરત રહેશે.
સામાજિક જવાબદારી: સંતોએ સમાજને સામાજિક સમરસતા, પર્યાવરણની રક્ષા, પારિવારિક જ્ઞાન દ્વારા હિન્દુ મૂલ્યોના સંસ્કાર અને રાષ્ટ્રીય ચારિત્ર્યના વિકાસ માટે આગળ આવવા માટે પ્રેરિત કર્યા હતા.
આ બેઠકમાં આચાર્ય અવધેશાનંદ ગિરી, આચાર્ય મહામંડલેશ્વર વિશોકાનંદની અધ્યક્ષતા, VHP કેન્દ્રીય અધ્યક્ષ આલોક કુમાર, કેન્દ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગરા વગેરે અગ્રણી રૂપે હાજર રહ્યા હતા. આ નિર્ણયો હિન્દુ સમાજ અને ધાર્મિક બાબતો પર દૂરગામી અસર કરી શકે છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહાસચિવ બજરંગ લાલ બાંગરાએ સનાતન બોર્ડના સ્વરૂપ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સનાતન બોર્ડ કેવું હશે, તેની રચના કોણ કરશે, તેમાં કોણ સભ્યો હશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. તેમણે મીડિયામાં આવેલા અહેવાલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કોઈ સત્તાવાર દરખાસ્ત આવશે તો તેની પર ચર્ચા કરવામાં આવશે.
VHPનું સ્પષ્ટ માનવું છે કે મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા અત્યંત જરૂરી છે. પરંતુ, મુક્ત થયા પછી મંદિરોનું સંચાલન કોઈ બોર્ડ દ્વારા નહીં, પરંતુ જે તે મંદિરના પોતાના ટ્રસ્ટ દ્વારા જ થવું જોઈએ.
આ પણ વાંચો...
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
