Railway News: ચાલતી ટ્રેનનના બે કોચ છૂટા પડી જતાં પ્રવાસીઓના જીવ અધ્ધર, મચી ગઇ દોડધામ, જાણો અપડેટ્સ
Railway News: સુરત નજીક ટ્રેનના બે કોચ છૂટા પડી જતા પ્રવાસીઓના જીવ અદ્ધર થઇ ગયા હતા. આવી ઘટના બે જગ્યાએ બની હતી. જાણીએ અપડેટ્સ

બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના કોચ છૂટા પડી જતાં પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પહેલી ઘટના મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન પાસે બની હતી. બીજી ઘટના ગુજરાતના સંજાણ સ્ટેશન પર બની હતી. બે કોચ અલગ થઈ જતા મુસાફરો ચિંતિત થયા હતા જો કે કોઇ ઇજા કે જાનહાનિના અહેવાલ નથી.
મુંબઈથી અમૃતસર જતી ટ્રેનના બે કોચ અલગ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, ચાલતી ટ્રેનના બે એસી કોચ અલગ થઈ ગયા હતા અને પાછળ રહી ગયા હતા. પશ્ચિમ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12925) મુંબઈના બાંદ્રા ટર્મિનસથી અમૃતસર જઈ રહી હતી, જ્યાં તે થોડી મિનિટોમાં બે વાર અલગ થઈ ગઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાલતી ટ્રેન સાથેનો પહેલો અકસ્માત મહારાષ્ટ્રમાં અને બીજો ગુજરાતમાં થયો હતો. આ ઘટના દરમિયાન મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે સલામતી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. સદનસીબે, એક મોટો અકસ્માત ટળી ગયો હતો. રેલ્વે વિભાગે તાત્કાલિક ટ્રેનથી અલગ થયેલા કોચ બદલી નાખ્યા હતા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી હતી. આ ઘટના દરમિયાન ટ્રેન પણ ત્રણ કલાક મોડી પડી હતી.
આ ટ્રેન ગઈકાલે, રવિવારે સવારે 11:35 વાગ્યે મુંબઈના બાંદ્રા ટર્મિનસથી અમૃતસર જવા માટે રવાના થઈ હતી. જ્યારે ટ્રેન બપોરે 1:15 વાગ્યે મહારાષ્ટ્ર પહોંચી ત્યારે એસી કોચ A1 અને A2 અલગ થઈ ગયા હતા. ગુજરાત પહોંચ્યા ત્યારે પણ આ જ સમસ્યા ફરી શરૂ થઈ. ટ્રેનના પાઇલટ અને અન્ય સ્ટાફે જાતે જ ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું અને ટ્રેન બપોરે 1:45 વાગ્યે રવાના થઈ. જોકે, થોડા જ અંતર પછી, કોચ ફરીથી અલગ થઈ ગયા. ગુજરાતના વલસાડથી ટેકનિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો. મુસાફરોને કોચમાંથી શિફ્ટ કરાવવામાં આવ્યા, અને નાસ્તો પણ આપવામાં આવ્યો. ત્યારબાદ, મુસાફરોને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા. ટ્રેન ત્રણ કલાક મોડી પડી હતી અને આજે રાત્રે અમૃતસર રેલ્વે સ્ટેશન પહોંચશે.
રેલવે વિભાગે જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 12925 બાંદ્રા ટર્મિનસ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસમાં વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે A1 અને A2 કોચના જોડાણમાં ટેકનિકલ સમસ્યા આવી હતી. કોઈપણ સમસ્યા ટાળવા માટે મુસાફરોને ઉતરવા અને ફરીથી ચઢવામાં મદદ કરવા માટે રેલવે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.





















