Train ATM: રેલવેનો અનોખો પ્રયોગ, આ ટ્રેનમાં હવે ATM થી ઉપાડી શકાશે રૂપિયા
ATM Facility In Train: મધ્ય રેલવેએ કહ્યું છે કે હાલમાં આ ઓનબોર્ડ એટીએમનો ઉપયોગ ટ્રાયલ તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ જો તે સફળ થશે, તો આ સુવિધા અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરી શકાય છે

ATM Facility In Panchvati Express Train: મધ્ય રેલવેએ મનમાડથી મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી દોડતી પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે એટીએમ મશીન લગાવ્યું છે. આ એટીએમ એસી ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં પહેલા પેન્ટ્રી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ અનોખું પગલું લેવામાં આવ્યું છે.
મધ્ય રેલવેએ કહ્યું છે કે હાલમાં આ ઓનબોર્ડ એટીએમનો ઉપયોગ ટ્રાયલ તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ જો તે સફળ થશે, તો આ સુવિધા અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરી શકાય છે.
રેલ્વે મંત્રીએ વીડિયો શેર કર્યો
પંચવટી એક્સપ્રેસમાં એટીએમનો વીડિયો શેર કરતા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પહેલીવાર કોઈ ટ્રેનમાં એટીએમ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.
આ સેવા શા માટે શરૂ કરવામાં આવી ?
વાસ્તવમાં, રેલવે તેના NFR એટલે કે નોન-ફેર રેવન્યુ પહેલ હેઠળ ઓનબોર્ડ ATM ની આ સુવિધા પૂરી પાડવાની યોજના બનાવી રહી છે. જેથી રેલ્વે ટિકિટમાંથી થતી આવક ઉપરાંત, તે મુસાફરોને અન્ય સુવિધાઓ પૂરી પાડીને તેની આવકમાં વધારો કરી શકે.
25 માર્ચના રોજ, મધ્ય રેલવેએ તમામ સંભવિત વિક્રેતાઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં મધ્ય રેલવેએ ઓનબોર્ડ એટીએમનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ ૨ એપ્રિલના રોજ, બેંક ઓફ મહારાષ્ટ્રએ NINFRIS નીતિ હેઠળ આ દિશામાં પ્રસ્તાવ મૂક્યો હતો.
એટીએમ પાસે સીસીટીવી કેમેરા
ત્યારબાદ, 10 એપ્રિલના રોજ, મનમાડ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ઓનબોર્ડ એટીએમ સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને પેન્ટ્રીની જગ્યાએ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ATM ની સુરક્ષા માટે ફક્ત 2 અગ્નિશામક ઉપકરણો અને રબર પેડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એટીએમ પાસે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યો છે.





















