'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
ABP Southern Rising Summit 2025: એબીપી સધર્ન રાઇઝિંગ સમિટમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને હાજરી આપી હતી

ABP Southern Rising Summit 2025: ચેન્નઈમાં સોમવારે (25 નવેમ્બર) આયોજિત એબીપી સધર્ન રાઇઝિંગ સમિટમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને હાજરી આપી હતી. તેમણે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોઈમ્બતુર મેટ્રો પ્રોજેક્ટ પર સતત કામ કરી રહી છે અને જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે કોઈ સિદ્ધિ નથી પણ એક જવાબદારી છે. અમે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની અપેક્ષાઓ મુજબ અમારું કાર્ય કરી રહ્યા છીએ. તેમણે ફરીથી આમંત્રણ આપવા બદલ એબીપી નેટવર્કનો પણ આભાર માન્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉદયનિધિએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાને "કેન્દ્ર સરકાર" કહેવાનો દાવો કરે છે, પરંતુ કોઈમ્બતુર મેટ્રો પ્રોજેક્ટ ફક્ત એટલા માટે મંજૂર કરવામાં આવ્યો ન હતો કારણ કે વસ્તી પૂરતી નહોતી. તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુના રાજ્યપાલે રાજ્યનું નામ બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધતા વિરોધને કારણે તેમને પાછા હટવું પડ્યું.
ઉદયનિધિ સ્ટાલિન ભાજપ પર દોષારોપણ કરે છે
તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર તેના હાથમાં રહેલી બધી સત્તાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ રાજકીય અને આર્થિક રીતે મજબૂત રાજ્યોને નબળા બનાવવાનું કામ કરી રહી છે. ઉદયનિધિએ કહ્યું કે દેશમાં ધીમે ધીમે સત્તા એક જગ્યાએ કેન્દ્રિત થઈ રહી છે જેના કારણે રાજ્યોના અધિકારો નબળા પડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુ અનેક મુદ્દાઓથી પરેશાન છે - જેમ કે કરનું અન્યાયી વિતરણ, ભંડોળ રોકવું, નવી શિક્ષણ નીતિ અને ભવિષ્યમાં સીમાંકન.
સ્ટાલિને મોદી સરકાર પર સાધ્યું નિશાન
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "જો હિન્દી કે અન્ય કોઈ ભાષા લાદવાનો પ્રયાસ થશે, તો અમે બીજી ભાષા યુદ્ધ લડવામાં પીછેહટ કરીશું નહીં." તેમણે વધુમાં કહ્યું હતું કે, "તમિલો ક્યારેય ત્રિભાષી ફોર્મ્યુલા સ્વીકારશે નહીં. તમિલનાડુ હંમેશા તેની ભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે ઉભા રહેશે."
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "અમે એવા બંધારણીય સુધારા ઇચ્છીએ છીએ જે રાજ્યોને વધુ શક્તિ આપે જેથી ભારત રાજ્યોના મજબૂત સંઘ તરીકે કાર્ય કરી શકે."






















