શંકરાચાર્યએ સ્પષ્ટ કર્યું કે સરકારને મંદિરોના ભંડોળ વાપરવાનો કોઈ અધિકાર નથી. એક બિનસાંપ્રદાયિક સરકાર તરીકે તેણે ધાર્મિક સ્થળોના વહીવટથી અંતર જાળવવું જોઈએ.
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
રામ મંદિર દાન કૌભાંડ વચ્ચે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યનું મોટું નિવેદન, કહ્યું- "મંદિરના દાનનો ઉપયોગ માત્ર જે-તે વિસ્તારના વિકાસ અને લોકકલ્યાણ માટે જ થવો જોઈએ, સરકારને દખલનો કોઈ અધિકાર નથી."

- રામ મંદિર દાન ચોરી: 8 આરોપીઓની ધરપકડ, ₹79.85 લાખ રિકવર.
ram mandir donation controversy: રામ મંદિરમાં થયેલા દાન કૌભાંડ અને ત્યારબાદ 8 આરોપીઓની ધરપકડના ઘટનાક્રમ વચ્ચે દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે મંદિરોના વહીવટમાં સરકારની દખલગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે સરકાર માત્ર મંદિરોના વહીવટમાં જ કેમ દખલ કરે છે? મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં કેમ નહીં? આ સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે મંદિરમાં આવતા કરોડો રૂપિયાના દાનનો ઉપયોગ અન્ય કોઈ કામમાં કે સરકાર દ્વારા ન થવો જોઈએ, પરંતુ જે વિસ્તારમાં મંદિર આવેલું છે ત્યાંના સ્થાનિક વિકાસ અને લોકકલ્યાણના કાર્યોમાં જ વપરાવો જોઈએ.
તાજેતરમાં રામ મંદિરમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરીનો મામલો સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડના મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના રિપોર્ટ બાદ 8 નામચીન આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે અને તમામની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓને 29 જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. SIT ના દાવા મુજબ, અત્યાર સુધીમાં આ આરોપીઓ પાસેથી ₹79.85 લાખની રકમ રિકવર કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ અને વહીવટી કાર્યવાહી વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે અને ધર્મગુરુઓ પણ મેદાનમાં આવ્યા છે.
આ જ મુદ્દે પ્રતિક્રિયા આપતા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ સરકારની નીતિઓ પર સીધો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, "સરકાર માત્ર હિન્દુ મંદિરોમાં જ કેમ હસ્તક્ષેપ કરી રહી છે? મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાના વહીવટમાં સરકાર કેમ કોઈ દખલ નથી કરતી?" તેમણે વધુમાં ઉમેર્યું કે, મોટા ધાર્મિક સ્થળો અને મંદિરોમાં ભક્તો દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે, ત્યારે તેના વહીવટમાં આવો એકતરફી સરકારી હસ્તક્ષેપ યોગ્ય નથી.
મંદિરની આવકના સાચા ઉપયોગ વિશે વાત કરતા શંકરાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, "અમારું સ્પષ્ટ માનવું છે કે મંદિરોમાં જે પણ દાન આવે છે કે આવક થાય છે, તેનો ઉપયોગ મંદિર જે જિલ્લામાં આવેલું છે તેના જ વિકાસ માટે થવો જોઈએ. આ ભંડોળમાંથી સ્થાનિક વિસ્તારમાં ગૌશાળા, શાળાઓ, દવાખાના, ધર્મશાળાઓ અને અન્ય લોકકલ્યાણના પ્રોજેક્ટ્સ ચાલવા જોઈએ. મંદિરના પૈસા બીજે ક્યાંય ન વપરાવા જોઈએ, અને મંદિરની બચતનું રોકાણ પણ તે જ વિસ્તારના વિકાસમાં થવું જોઈએ."
આ પણ વાંચોઃ રામ મંદિર કૌભાંડ: 15 પાનાના SIT રિપોર્ટમાં ચંપત રાય પર શંકા, મચી શકે છે મોટો ખળભળાટ
તેમણે સરકારને આડે હાથ લેતા સ્પષ્ટ કર્યું કે, "સરકારને મંદિરોના ભંડોળ કે દાનના પૈસા વાપરવાનો કોઈ જ અધિકાર નથી. સરકારે આવું ન કરવું જોઈએ કારણ કે આપણી સરકાર બિનસાંપ્રદાયિક (સેક્યુલર) છે. તો પછી સરકારે કોઈ ધાર્મિક સ્થળોને પોતાના હસ્તક ન લેવા જોઈએ અને તેના વહીવટથી અંતર જાળવવું જોઈએ."
Frequently Asked Questions
શું સરકારને મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાનો અધિકાર છે?






















