સાસરિયામાંથી વિધવાને બહાર કાઢી શકાય કે નહીં? કેરળ હાઇકોર્ટનો મોટો ચુકાદો
પલક્કડની સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના નિર્ણયને ઉલટાવી દીધો અને મહિલાના પક્ષમાં સુરક્ષા અને રહેઠાણનો આદેશ જાહેર કર્યો હતો

કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે કોઈપણ વિધવા મહિલાને તેના સાસરિયામાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી શકાય નહીં. આ ચુકાદો મહિલાની ગરીમા અને સુરક્ષાના અધિકારોને મજબૂત કરે છે ખાસ કરીને ત્યારે જ્યારે તે પોતાના પતિના મૃત્યુ બાદ તેના સાસરિયાઓ દ્ધારા ઉત્પીડનનો ભોગ બને છે. 41 વર્ષીય મહિલાએ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેના પતિનું 2009માં અવસાન થયું હતું. ત્યારથી, તેના સાસરિયાઓએ તેને અને તેના બાળકોને સાસરિયાના ઘરમાં રહેવાથી રોક્યા હતા અને સતત માનસિક રીતે હેરાન કરતા હતા.
મહિલાએ ઘરેલુ હિંસા અધિનિયમ, 2005ની કલમ 12 હેઠળ સુરક્ષાની માંગ કરી હતી પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મહિલાનો હવે તેના સાસરિયાઓ સાથે કોઈ "ઘરેલું સંબંધ" નથી.
સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે સાથ આપ્યો
પલક્કડની સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના નિર્ણયને ઉલટાવી દીધો અને મહિલાના પક્ષમાં સુરક્ષા અને રહેઠાણનો આદેશ જાહેર કર્યો હતો. જોકે, સાસરિયાઓએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે મહિલા પાસે પહેલેથી જ અલગ મિલકત છે અને તે તેના પિયરમાં રહે છે તેથી તે "પીડિત મહિલા" ની શ્રેણીમાં આવતી નથી.
પરંતુ કેરળ હાઈકોર્ટે આ દલીલોને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી અને સ્પષ્ટતા કરી હતી કે મહિલા, જે મૃતકની પત્ની છે અને અગાઉ તેના સાસરિયામાં રહી ચૂકી છે, તે ઘરેલુ હિંસા કાયદાની કલમ 2(a), 2(f) અને 2(s) હેઠળ સંપૂર્ણ રક્ષણ મેળવવા માટે હકદાર છે.
અધિકારનો માલિકી સાથે કોઈ સંબંધ નથી
કોર્ટે કહ્યું કે મહિલાનો સાસરિયાના ઘરમાં રહેવાનો અધિકાર તે વાત પર નિર્ભર નથી કે તે હાલમાં તે ઘરમાં રહે છે કે નહીં, અથવા તે તેની માલિકી ધરાવે છે કે નહીં. આ અધિકાર એટલા માટે છે કારણ કે તેણીએ તેના પતિ સાથે તે ઘરમાં પોતાનું જીવન વિતાવ્યું છે.
કોર્ટે સુપ્રીમ કોર્ટના 2022ના 'પ્રભા ત્યાગી વિરુદ્ધ કમલેશ દેવી' ના કેસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કોઈ પણ મહિલાને તેના સાસરિયાના ઘરમાંથી ફક્ત એટલા માટે કાઢી શકાતી નથી કારણ કે તેની પાસે રહેવા માટે બીજી જગ્યા છે. ઘરેલુ હિંસા કાયદાનો ઉદ્દેશ્ય મહિલાઓને રક્ષણ અને આદર આપવાનો છે, અને આનો અર્થ એ છે કે વિધવાને બેઘર બનાવી શકાતી નથી.
કેરળ હાઈકોર્ટના આ નિર્ણયથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે મહિલાઓના અધિકારો ફક્ત લગ્ન સુધી મર્યાદિત નથી. પતિના મૃત્યુ પછી પણ તેણીને તેના સાસરિયાના ઘરમાં રહેવાનો અને ત્યાં સુરક્ષા મેળવવાનો અધિકાર છે.





















