રાજકોટમાં કાલે સાંજે 5 વાગ્યે નિવાસસ્થાનેથી વિજયભાઈની અંતિમ યાત્રા નીકળશે, અંતિમ યાત્રાનો રુટ જાહેર
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું.તેમના પાર્થિવદેહને અંતિમ વિદાય આપવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું.તેમના પાર્થિવદેહને અંતિમ વિદાય આપવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કાલે, સોમવારે (16 જૂન 2025) સાંજે 5 વાગ્યે રાજકોટમાં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આ ઉપરાંત, વિજયભાઈ રૂપાણી અને દુર્ઘટનાના અન્ય દિવંગતોની યાદમાં રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પાર્થિવદેહનો રૂટ અને અંતિમ દર્શન
રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આવતીકાલે સોમવારે સવારે 11.00 વાગ્યે વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. સવારે 11.30 વાગ્યે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે પાર્થિવદેહનો સ્વીકાર કરાશે. ત્યારબાદ, સવારે 11.30 થી 12.30 દરમિયાન પાર્થિવદેહને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી એરપોર્ટ લઈ જવામાં આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા રાજકોટ માટે ટેકઓફ થશે. બપોરે 2.00 થી 2.30 વાગ્યાની વચ્ચે પાર્થિવદેહને રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી લાવવામાં આવશે.
બપોરે 2.30 થી 4.00 વાગ્યા દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) લઈ જવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, સામેનો રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચશે. સાંજે 4.00 થી 5.00 વાગ્યા સુધી વિજયભાઈના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
અંતિમયાત્રાનો વિગતવાર રૂટ
સાંજે 5.00 થી 6.00 વાગ્યા દરમિયાન નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન) થી શરૂ થઈને નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને અંતે રામનાથપરા સ્મશાન પહોંચશે.
પ્રાર્થના સભાઓ
રાજકોટમાં પ્રાર્થનાસભા: મંગળવાર, 17 જૂન 2025 ના રોજ સાંજે 3.00 થી 6.00 વાગ્યા સુધી રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે યોજાશે.
ગાંધીનગરમાં પ્રાર્થનાસભા (પરિવાર દ્વારા): ગુરુવાર, 19 જૂન 2025 ના રોજ સવારે 9.00 થી 12.00 વાગ્યા સુધી હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર ખાતે યોજાશે.
ગાંધીનગરમાં ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સભા: શુક્રવાર, 20 જૂન 2025 ના રોજ સાંજે 4.00 થી 6.00 વાગ્યા સુધી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા વિજયભાઈ રૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભા યોજાશે.





















