પહલગામ હુમલાને લઇને ચીને આપ્યું પાકિસ્તાનની આ માંગને સમર્થન, બંન્ને દેશોને તણાવ ઘટાડવા અપીલ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. જેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી છે. પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને ચીન તરફથી સમર્થન મળ્યું છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચે વાતચીત
ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય અખબાર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાત કરી છે. દરમિયાન ચીને કહ્યું કે તે હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યું છે.
વાતચીત દરમિયાન ઇશાક ડારે કહ્યું કે તેઓ આતંકવાદ સામે કડક નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાન સાથે તણાવ વધારતા કોઈપણ પગલાનો વિરોધ કરે છે. પાકિસ્તાન આ મુદ્દા પર ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંપર્કમાં રહેશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે તેઓ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. આતંકવાદ સામેની લડાઈ એ બધા દેશોની સહિયારી જવાબદારી છે.
પાકિસ્તાને શું માંગ કરી?
પાકિસ્તાને માંગ કરી હતી કે પહલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને પણ સામેલ કરવામાં આવે. મીડિયા સાથે વાત કરતી વખતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય ટીમે તપાસ કરવી જોઈએ કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું.
ગૃહ મંત્રાલયના આદેશ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહલગામ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય નૌકાદળે એન્ટી-શિપ મિસાઇલ ફાયર કરીને તેની લાંબા અંતરની હુમલો કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અપીલ કરી છે કે નિર્દોષ લોકોના ઘર તોડી ન નાખવા જોઈએ. અત્યાર સુધીમાં 272 પાકિસ્તાની નાગરિકો ભારત છોડી ચૂક્યા છે અને બાકીના લોકોને રવિવાર સુધીમાં ત્યાંથી નીકળી જવા માટે કહેવામાં આવ્યું છે.





















