અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કસ્ટમર બની આવેલા હત્યારાએ રાકેશ પટેલને લમણે ગોળી મારી
મૃતક રાકેશભાઈ પટેલ મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની હતા.

અમેરિકામાં ગુજરાતી સમુદાય પર હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકાના પેન્સિલવેનિયાના પિસ્ટબર્ગ ટાઉન માં મોટેલનો વ્યવસાય કરતા આશરે 50 વર્ષીય રાકેશભાઈ ધીરુભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ દુઃખદ ઘટના શુક્રવાર, 3 ઓક્ટોબર, 2025 ના રોજ બની હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, એક વ્યક્તિ કસ્ટમર બનીને આવ્યો હતો અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના સાવ નજીકથી રાકેશભાઈના લમણે ગોળી ધરબી દીધી હતી, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે, અમેરિકાની પેન્સિલવેનિયા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે, અને જૂની અદાવત સહિતના એંગલથી તપાસ શરૂ કરી છે.
મૃતક રાકેશભાઈ પટેલ મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની હતા. તેમનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય, પરંતુ તેમણે સુરત જિલ્લામાં લગ્ન કર્યા હતા. તેઓ તેમની પત્ની અને ત્રણ દીકરીઓ સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને પિસ્ટબર્ગ ટાઉનમાં મોટેલ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 ઓક્ટોબરે સવારના સમયે, રાકેશભાઈ તેમની મોટેલની બહાર ઊભા હતા. આ દરમિયાન, એક વ્યક્તિ કસ્ટમર બનીને આવ્યો અને સાવ નજીકથી ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. હત્યા બાદ આરોપી ત્યાંથી બિન્દાસ નીકળી ગયો હતો.
હત્યાના આ ગંભીર ગુના બાદ અમેરિકાની પેન્સિલવેનિયા પોલીસે તાત્કાલિક પગલાં લીધાં. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે હત્યારા આરોપીને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આરોપી કસ્ટમર બનીને જ રાકેશભાઈની હત્યા કરવા આવ્યો હતો. હાલમાં પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે જૂની અદાવત ના એંગલથી પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને મૃતકના પરિવારમાં અને સમગ્ર ગુજરાતી સમુદાયમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટના અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતીઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલ ઊભા કરે છે. તાજેતરમાં જ, ડલાસમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા ચંદ્રશેખર નામના ભારતીય યુવકની ગેસ સ્ટેશન પર લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પ્રકારના બનાવો દર્શાવે છે કે અમેરિકામાં વેપારીઓ, ખાસ કરીને એશિયન સમુદાયના લોકો, ગુનાહિત પ્રવૃત્તિઓ અને હિંસાનો ભોગ બની રહ્યા છે. આ ઘટનાઓથી વિદેશમાં રહેતા ભારતીય પરિવારોમાં ડર અને ચિંતાનો માહોલ છે.





















