Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
બગદાણા વિવાદને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે. કોળી સમાજના આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચેની બેઠક પૂર્ણ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વીડિયો કૉન્ફરન્સથી બેઠક કરવામાં આવી હતી. યોગ્ય પગલા લેવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, AAPના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
ભાવનગર જિલ્લાના બગદાણામાં થયેલી મારામારીની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. બગદાણાના નવનીત બાલધિયા નામના વ્યક્તિ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની ગંભીરતાને જોતા ફરિયાદમાં BNS કલમ 109 (IPC 307)ની કલમનો ઉમેરો કરાયો છે. જોકે, આ મામલે ઘણા નવા વળાંકો આવ્યા છે. કોળી સમાજ પણ મેદાને આવ્યો છે.
નવનીત બાલધિયા પર થયેલા હુમલાને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ મંત્રી, કોળી સમાજના આગેવાનો મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યાં નવનીત બાલધિયા સારવાર હેઠળ છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસે હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ભાજપ નેતાઓ હુમલાખોરોને સજા અપાવવાની ખાતરી આપી રહ્યા છે ત્યાં કોંગ્રેસે કાયદો વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યા છે.




















