(Source: Dainik Bhaskar)
IPL સસ્પેન્ડ કરવાનો નિર્ણય માત્ર આટલી જ મિનિટમાં લેવાયો ? જાણો હવે ટુર્નામેન્ટ રમાશે કે નહીં
IPLની 14મી સિઝન 29 મેચ પછી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવી પડી છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના બાયોબબલમાં ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે 14મી સિઝન 29 મેચ પછી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવી પડી છે. જે અંગે ગઈકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ માટે માત્ર 10 મિનિટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના સચિવ જય શાહે કહ્યું કે, અમે ખેલાડીઓ, કર્મચારીઓ, ગ્રાઉન્ડ્સમેન, અધિકારીઓની સુરક્ષાને દાવ પર લગાવી શકીએ નહીં.
બીસીસીઆઈના અધ્યક્ષ રાજીવ શુક્લાએ ટૂર્નામેન્ટ સ્થગિત કરવા અંગે જણાવ્યું કે, ‘અત્યારે આઈપીએલ સ્થગિત કરી દેવાઈ છે. અમે ટીમો, બ્રોડકાસ્ટર્સ અને તેમાં સામેલ લોકો સાથે વાત કરી છે. અમારા માટે ખેલાડીઓનું આરોગ્ય સર્વોચ્ચ બાબત છે. અમે ટૂંક સમયમાં જ ફરી મળીશું અને ટૂર્નામેન્ટનું સમાપન કરવા અંગે નિર્ણય લઈશું. જોઈશું કે આગલી વિન્ડો ક્યારે ઉપલબ્ધ થાય છે’.
એક રિપોર્ટ પ્રમાણે આઈપીએલનું આયોજન ટી-20 વર્લ્ડકપ પહેલા થઈ શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શિડ્યૂલ પ્રમાણે આગામી મહિને શ્રીલંકાનો ઈંગ્લેન્ડ પ્રવાસ છે. જે બાદ 18 જુનથી 22 જુન સુધી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમાશે. જેમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. જુલાઈમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડ પ્રવાસે અને સાઉથ આફ્રિકા આયર્લેન્ડ પ્રવાસે જશે. ઓગસ્ટમાં ભારત ઈંગ્લેન્ડ પ્રવાસે જશે અને ઝિમ્બાબ્વે આયર્લેન્ડ પ્રવાસે જશે. ઓક્ટોબરમા ઈંગ્લેન્ડ પાકિસ્તાન આવશે. 15 નવેમ્બર સુધીમાં ટી-20 વર્લ્ડકપ પણ પૂરો થઈ જશે. જે બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં કોઈપણ દેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનું નથી. જાન્યુઆરી 2022માં ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. આ સંજોગોને જોતાં ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આઈપીએલની બાકીની સીઝનનું આયોજન થાય તેવી પણ એક સંભાવના છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
રાજ્યના આ શહેરમાં કોરોના મુક્ત થયેલા દર્દીઓને આઈસોલેશન સેન્ટરમાંથી આ રીતે અપાઈ વિદાય