શું Jio ના IPO ને કારણે રિચાર્જ મોંઘું થશે? જૂન 2026 પહેલાં સામે આવ્યા ચોંકાવનારા સમાચાર
Mobile Recharge Price Hike 2026: બે વર્ષ બાદ ટેલિકોમ કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં, જેફરીઝના રિપોર્ટમાં દાવો; Jio નો IPO પણ ટૂંક સમયમાં આવી શકે છે, જાણો તમારા ખિસ્સા પર કેટલો બોજ વધશે.

Mobile Recharge Price Hike 2026: જો તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર છે. આવનારા થોડા મહિનાઓમાં તમારે ફોન પર વાત કરવા અને ઇન્ટરનેટ ડેટા વાપરવા માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. બ્રોકરેજ ફર્મ Jefferies (જેફરીઝ) ના તાજેતરના અહેવાલ મુજબ, જૂન 2026 માં મોબાઈલ ટેરિફમાં 15% સુધીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. છેલ્લા બે વર્ષથી રિચાર્જ પ્લાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, તેથી આ વર્ષે ગ્રાહકોને ભાવ વધારાનો આંચકો લાગી શકે છે.
રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો છે?
જેફરીઝના ઇક્વિટી વિશ્લેષક અક્ષત અગ્રવાલ અને એસોસિયેટ આયુષ બંસલે તૈયાર કરેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટેલિકોમ કંપનીઓ તેમની આવક વધારવા માટે ટેરિફમાં વધારો કરી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે જો જૂનમાં ભાવ વધે છે, તો નાણાકીય વર્ષ 2026-27 (FY27) માં ટેલિકોમ સેક્ટરના ગ્રોથ રેટમાં બમણો ઉછાળો જોવા મળી શકે છે. આ પગલું ટેલિકોમ કંપનીઓની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, પરંતુ સામાન્ય માણસના બજેટને ખોરવી શકે છે.
Jio નો IPO અને ભાવ વધારો
આ ભાવ વધારા પાછળનું એક મોટું કારણ રિલાયન્સ જિયો (Reliance Jio) નો પ્રસ્તાવિત આઈપીઓ (IPO) પણ માનવામાં આવે છે. બજારના નિષ્ણાતો મુજબ, Jio નો IPO વર્ષ 2026 ના પહેલા ભાગમાં આવી શકે છે. સારા વેલ્યુએશન માટે અને રોકાણકારોને આકર્ષવા માટે કંપનીઓ પોતાની આવક વધારવા માંગશે, અને તેના માટે ટેરિફમાં વધારો કરવો એક અસરકારક રસ્તો છે. આ ભાવ વધારો ટેલિકોમ સેક્ટરના વેલ્યુએશનને સપોર્ટ કરશે.
વોડાફોન આઈડિયાનું શું કહેવું છે?
ટેલિકોમ સેક્ટરમાં ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે વોડાફોન આઈડિયા (Vi) ના સીઈઓ અક્ષય મુન્દ્રાનું નિવેદન પણ મહત્વનું છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે ભારત જેવા ડેટાનો વધુ વપરાશ કરતા માર્કેટમાં દર 9 થી 12 મહિને ટેરિફમાં સુધારો થવો જરૂરી છે. તેમના મતે, નવી ટેકનોલોજી જેમ કે IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) અને નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કંપનીઓ પાસે પૂરતું ભંડોળ હોવું આવશ્યક છે.
ગ્રાહકોએ શું કરવું?
ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં મોબાઈલ ટેરિફ વધારવાનો ટ્રેન્ડ સામાન્ય રીતે 2 વર્ષના અંતરાલ પર જોવા મળે છે. છેલ્લો મોટો વધારો થયો તેને હવે ઘણો સમય થઈ ગયો છે. તેથી, મોબાઈલ યુઝર્સે આ વર્ષના મધ્યમાં એટલે કે જૂન આસપાસ મોંઘા રિચાર્જ પ્લાન માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. કંપનીઓનો દાવો છે કે આ વધારાથી ગ્રાહકોને ભવિષ્યમાં વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી અને ઝડપી 5G સેવાઓ મળશે.





















