હું તો બોલીશઃ દર્દ સાગરખેડુનું
છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં 3 દિવસ પહેલાં 3 ફિશિંગ બોટ ડૂબી જવાથી 8 માછીમારો હજુ પણ લાપતા છે, જેમને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ કામ કરી રહી છે. જ્યારે આજે 3 માછીમારોના મૃતદેહ મળ્યા હતા. લાપતા થયેલા માછીમારો અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ અને રાજુલા અને ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે. મુખ્યમંત્રીના આદેશ બાદ માછીમારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ તેજ કરવામાં આવ્યું છે. નેવી, કોસ્ટગાર્ડ અને હેલિકોપ્ટરની સાથે બે વેસલની મદદથી દરિયામાં લાપતા થયેલા માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આવતા વહીવટી પ્રશાસને તમામ માછીમારોને પરત ફરવાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશ મળતા 500થી વધુ બોટ દરિયામાંથી કિનારે પરત ફરી હતી. જોકે, આ દરમિયાન જાફરાબાદની 2 અને રાજપરાની 1 બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 17 માછીમારોને બચાવી લેવાયા હતા પરંતુ 11 માછીમારો લાપતા હતા જેમાંથી 3 માછીમારોના મૃતદેહ મળ્યા છે અને હજુ 8 માછીમારો લાપતા છે. આ લાપતા માછીમારોને શોધવા માટે કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર મારફતે સઘન શોધખોળ ચાલી રહી છે.





















