Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
ખેડૂતો મહામહેનતે ખેતર ખેડે છે. બિયારણ લાવે છે. વાવે છે. ખાતર નાંખે છે. પાક તૈયાર થયા પછી તેની લણણી કરે છે. જ્યારે આ જ જણસ ખેડૂત વેંચવા માટે જાય અને તેને પૂરતા ભાવ ન મળે ત્યારે એ જગતના તાતની આંખોમાં આંસુ ઉભરાઈ આવે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક થાય છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હરાજીમાં પ્રતિ મણ માત્ર 70 થી 120 રુપિયાનો ભાવ મળી રહ્યો છે. જેને લીધે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સફેદ ડુંગળીના ભાવ થોડે અંશે વધુ મળી રહે છે પણ તેનું વાવેતર ઓછું હોય છે.
ત્યારે ડુંગળીના આટલા નીચા ભાવ મળતા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળીયાએ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી છે. ખેડૂતોની આર્થિક નુકસાની સામે સહાય કરવાની માગણી કરવામાં આવી. ચેરમેને પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો કે ખેડૂતોને ડુંગળીના વાવેતરમાં કેટલો ખર્ચ થતો હોય છે. ડુંગળીના પાકમાં ખરાબ હવામાનના કારણે વીઘા દીઠ ઓછું એટલે કે અંદાજે માત્ર 150 થી 200 મણનું ઉત્પાદન મળ્યું છે.






















