Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
લગ્ન તે જીવનનો પવિત્ર અને આનંદમય પ્રસંગ છે, પરંતુ સમય જતાં તેમાં દેખાડો, અતિશય ખર્ચ અને સામાજિક દબાણ એટલું વધી ગયું છે કે સામાન્ય તથા મધ્યમવર્ગ માટે દીકરા-દીકરીના લગ્ન અનેક વખત આર્થિક બોજ બની જાય છે. આવી સ્થિતિમાં પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલી 'ઉમા આદર્શ લગ્ન યોજના' સમાજ માટે આશાની કિરણ બનીને સામે આવી છે. માત્ર 5100 રૂપિયામાં સંસ્થા દ્વારા લગ્નની તમામ વિધિ કરી આપવામાં આવે છે અને કરીયાવર પણ આપવામાં આવે છે. આ યોજનાનો મૂળ હેતુ સ્પષ્ટ છે, લગ્નમાં થતો બિનજરૂરી ખર્ચ ઘટાડવો અને લગ્નને સાદગી, સંસ્કાર અને સમજણ સાથે જોડવા. માત્ર 13 મહિનાના ટૂંકા સમયગાળામાં જ આ યોજના સમાજહિત માટે અત્યંત સફળ સાબિત થઈ છે. અનેક પરિવારો આ યોજનાથી જોડાયા છે અને તેના પરિણામે પાટીદાર સમાજમાં લગ્ન પાછળ થતો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
આ યોજનાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેણે સમાજની વિચારધારામાં પરિવર્તન લાવ્યું છે. લોકો હવે સમજવા લાગ્યા છે કે લગ્નની સાચી ખુશી ભવ્ય મંડપો કે દેખાવડાં ખર્ચમાં નથી, પરંતુ સંબંધોની મજબૂતી અને પરસ્પર સમજૂતીમાં છે. સાદા, સંયમિત અને અર્થપૂર્ણ લગ્ન સમારંભોને પ્રોત્સાહન મળ્યું છે, જે સમાજને સંસ્કારયુક્ત દિશામાં લઈ જાય છે.






















