Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
રાજકોટનાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમા એબીપી અસ્મિતાના ધારદાર અહેવાલોની મોટી અસર જોવા મળી છે. ભારે વિવાદમાં આવેલી કાજુકતરી, ખજૂર રોલ તથા અન્ય વસ્તુઓનું રૂપિયા 27 લાખનું શંકાસ્પદ બિલ મહાનગરપાલિકાએ અટકાવી દીધું છે. મનપા હવે આ વિવાદાસ્પદ વસ્તુઓના નાણાં ચૂકવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. અને રી-ટેન્ડરીંગ કરવાનો પણ નિર્ણય આગામી સમયમા લેવાશે.
સુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલિશન મામલે 5 અધિકારી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એબીપી અસ્મિતાના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી છે. 2 કાર્યપાલક ઈજનેર સહિત 5 અધિકારીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. જેમાં સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે, આગામી સમયમાં તપાસ રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી કરાશે.
--------------------------------------------
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના બિલનો વિવાદ
રાજકોટનાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં અગાઉ એબીપી અસ્મિતા દ્વારા પાણીના બિલો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 3માં મળતી પાણીની બોટલોની મનપા દ્વારા રૂ. 8નાં ભાવે ખરીદી થઈ હોવાનો પર્દાફાશ થયો હતો. જેને લઈ આજની સ્ટેન્ડિંગની બેઠકમાં મેયર દ્વારા રેટ કોન્ટ્રાકટ અંગે અરજન્ટ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આ તમામ કોન્ટ્રાકટનો રિવ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ચાલુ રેટ કોન્ટ્રાકટમાં જો કોઈ પાર્ટી નીચા ભાવે કામ કરવા ઈચ્છશે તો જૂનો કોન્ટ્રાકટ રદ્દ કરી નવી પાર્ટી સાથે રેટ કોન્ટ્રાકટ કરવામાં આવશે.
રાજકોટના પૂર્વ ઝોનમાં વોર્ડ નં. 16ના જંગલેશ્વર વિસ્તારમાં ડોમોલિશન થયું... તેમાં ફક્ત જમવા પાછળ 27.20 લાખનો ખર્ચ થયો હતો... 12 લાખનો ખર્ચ પાણી પાછળ થયો અને મંડપ પાછળ 6.70 લાખનો ખર્ચ થયો... ત્યારબાદ 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતા જ ભારે વિવાદ સાથે હોબાળો મચી ગયો હતો....
27 લાખના બિલમાં ડિમોલિશનના સ્ટાફ માટે સમોસા, કાજુકતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, ભોજનની થાળી, લીંબુ શરબત અને છાશ વગેરેનો સમાવેશ કરાયો છે.... ત્યારે આટ-આટલાઆટલા મિસ્ટાન આરોગ્યા બાદ અધિકારીઓએ પાણી તો પીધુ જ હોયય તે સ્વાભાવિક છે... સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્તમાં 12 લાખના મિનરલ વોટરનું કોઈ બિલ જ સામેલ ના કર્યું.....
ડિમોલિશન દરમિયાન પાણી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ 'ઉમિયા મંડપ સર્વિસ'ને આપવામાં આવ્યો હતો... આ કામગીરી દરમિયાન સ્ટાફ અધધ 12 લાખ 40 હજાર 28નું તો માત્ર મિનરલ વોટર પી ગયો.... આ સિવાય ડિમોલિશન સાઇટ પર મંડપ બાંધવાનો ખર્ચ 6 લાખ 70 હજાર 678 થયો...
ચા-પાણી, નાસ્તો અને જમવાની વ્યવસ્થા આરોગ્ય શાખા હસ્તક હતી... જેથી તેનું 27 લાખનું બિલ વહેલું દરખાસ્તમાં આવી ગયું.... જ્યારે મિનરલ વોટર અને મંડપ સર્વિસની જવાબદારી સાંસ્કૃતિક વિભાગની હતી.... સાંસ્કૃતિક વિભાગે હજુ સુધી આ દરખાસ્ત કમિટી સમક્ષ મૂકી નથી..... અત્યાર સુધી પ્રજા સામે માત્ર 27.20 લાખનો ખર્ચ જ આવ્યો છે.... જો કે 12.40 લાખ પાણીના અને મંડપના 6.70 લાખ મળી કુલ ખર્ચ 46 લાખ 31 હજાર 652 થાય છે....
27.20 લાખમાં આ બિલની અંદર કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈનું રૂપિયા 34 હજાર 650 બિલ મુકવામાં આવ્યું હતુ... બિલની અંદર 150 નંગનો કૂલ ભાગ 34 હજાર 650 છે.. એટલે કે એક નંગનો ભાવ 231 રપિયા થયો... પાછુ આ મીઠાઈ કોણે મંગાવી તે કોઈને ખબર જ નથી...
કર્મચારીઓ કૂલ અધધ 21 હજાર 540 કપ ચા પી ગયાનું બિલ મૂકવામાં આવ્યું હતુ... આ ચાનો ખર્ચ પ્રતિ ચા 21 રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો... એટલે કે અધિકારીઓ 1 હજાર 500 લીટર ચા પી ગયા હતા...
સુરત ડિમોલિશનની ઘટના
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસિરનગર ખાતે 30 મે, 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેને સ્થાનિક સ્તરે 'ભૂતિયા ડિમોલેશન' તરીકે ઓળખવામાં આવ્યુ હતુ. પ્રશાસનની જાણ બહાર અથવા ગેરરીતિપૂર્વક ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કોઈપણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપ્યા વિના જ અચાનક બુલડોઝરો ઉતારી દેવામાં આવ્યા હતા, જેને કારણે સ્લમ વસાહતના 100થી વધુ પરિવારો ધોમધખતા તાપમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા. નાસિરનગરના રહીશોને અગાઉથી જ આ પ્રકારના ડિમોલિશનની આશંકા હોવાને કારણે, તેઓએ કાયદેસરનો માર્ગ અપનાવ્યો હતો. સ્થાનિક રહીશોએ અગાઉ 1 જાન્યુઆરી, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કતારગામ ઝોનની કચેરી ખાતે રૂબરૂ જઈને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ લેખિત રજૂઆતમાં વિનંતી કરવામાં આવી હતી કે, જો આ જમીન સરકારી હોય કે પાલિકાને વિકાસ માટે જોઈતી હોય તો નિયમ મુજબ ગરીબોને પહેલા વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે અને ત્યાર બાદ જ કોઈ કદમ ઉઠાવવામાં આવે પરંતુ, તંત્રએ આ રજૂઆત પર ધ્યાન આપ્યા વગર જ બુલડોઝરની ફોજ ઉતારી દીધી હતી.
નાસીરનગર ડિમોલિશન મામલો જ્યારે પાલિકા કચેરીએ પહોંચ્યો ત્યારે સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ દ્વારા વિરોધાભાસી નિવેદનો આપવામાં આવ્યા હતા .પત્રકારોએ સવાલ કર્યા તો પત્રકારો સાથે દાદાગીરી અને ઉદ્ધતાઈભર્યું વર્તન થતા ભારે હોબાળો મચી ગયો હતો . આ મામલે પત્રકારોમાં રોષ જોવા મળ્યો હતો.
હાઈકોર્ટમાં સુનાવણી
ત્યારબાદ 26 અરજદારોએ ભુતિયા ડિમોલિશન અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણીમાં હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા ના ઉચ્ચ અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને ખાતરી આપી હતી કે ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ ચાલુ છે.
હાઇકોર્ટે પોલીસ કમિશનરનો ઉધડો લીધો હતો
સુરત નાસીરનગર ડિમોલિશન મામલે 29 જૂને હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ફરી એકવાર સુરત પોલીસ કમિશનરની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસની હાજરી હોવા છતાં ત્યાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ અને તંત્રે 16 દિવસ સુધી કોઈ પગલાં કેમ ન લીધા?.
ભુતિયા ડિમોલિશનમાં પાલિકાના કર્મચારીઓની સંડોવણી અને ગંભીર બેદરકારી સામે આવતા ભારે વિરોધ અને હોબાળો મચ્યો હતો. આ બાબતે પ્રશાસને એક તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિએ રજૂ કરેલા રિપોર્ટમાં ડિમોલેશનની પ્રક્રિયામાં નિયમોનો ભંગ અને અધિકારીઓની ઘોર બેદરકારી સ્પષ્ટપણે જણાઈ આવી હતી. તપાસ નિષ્પક્ષ અને તટસ્થ રીતે આગળ વધે તે હેતુથી સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા સત્તાવાર રીતે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સસ્પેન્ડ થયેલા અધિકારીઓમાં એક ડેપ્યુટી ઈજનેર, એક આસિસ્ટન્ટ ઈજનેર સસ્પેન્ડ, એક જુનિયર ઈજનેરનો સમાવેશ થાય છે. સસ્પેન્શનની આ કાર્યવાહી બાદ હવે પાલિકા પ્રશાસન ખાતાકીય તપાસ કરશે. તપાસ રિપોર્ટના અંતિમ તારણો અને જવાબદારી નક્કી થયા બાદ આ અધિકારીઓ સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી અને દંડનાત્મક પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ પાલિકાના વહીવટી માળખામાં ફેલાયેલી બેદરકારીને ખુલ્લી પાડી છે. આ કડક નિર્ણયથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે.






















