Surendranagar Car Accident : સુરેન્દ્રનગરમાં ઝમર પાસે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકો જીવતા ભડથું
Surendranagar Car Accident : સુરેન્દ્રનગરમાં ઝમર પાસે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકો જીવતા ભડથું
Surendranagar Car Accident :સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર Swift Dzire અને Tata Harrier વચ્ચે થયેલી ધડાકાભેર અથડામણ બાદ એક કારમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે બાળકો સહિત કુલ 8 લોકો જીવતા ભૂંજાયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
વઢવાણ-લખતર હાઇવે પર થયેલા અકસ્માતમાં 8 લોકોના કરુણ મોત થયા છે, જે એક જ પરિવારના સગા-સંબંધીઓ હતા. Swift Dzire કારમાં સવાર આ લોકો કડુથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી Tata Harrier કાર સાથે તેમની કાર અથડાઈ. અથડામણ બાદ Dzire કાર રોડની સાઈડમાં ખાબકી અને તરત જ આગની લપેટમાં આવી ગઈ. કારમાં સવાર તમામ 8 લોકો, જેમાં 13 વર્ષની કિશોરી અને 10 માસની બાળકીનો પણ સમાવેશ થાય છે, આગમાં જીવતા ભૂંજાયા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
મૃતકોના નામ
આગના કારણે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. પરિણામે, બે બાળકો સહિત 8 લોકો આગમાં જીવતા ભૂંજાયા. મૃતકોના નામ નીચે મુજબ છે:
- મીનાબા વિરેન્દ્રસિંહ રાણા
- કૈલાબા જગદીશસિંહ ચુડાસમા (55 વર્ષ)
- રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા (47 વર્ષ)
- દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (32 વર્ષ)
- નીતાબા ભગીરથસિંહ જાડેજા (53 વર્ષ)
- પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (35 વર્ષ)
- રિદ્ધિબા પ્રતિપાલસિંહ (ઉંમર 13)
- દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ (ઉંમર 10 માસ)
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને લખતર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.




















