![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri Culture: શા માટે નવરાત્રી 9 દિવસ માટે ઉજવાય છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
Navaratri Culture: આસો સુદ એકમ થી નોમ સુધી હિન્દુ ધર્મમાં શક્તિની પુજા આરાધના કરતો સૌથી મોટો તહેવાર નવરાત્રી ઉજવવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન દેવી શક્તિની પુજા કરવામાં આવે છે.
![Navratri Culture: શા માટે નવરાત્રી 9 દિવસ માટે ઉજવાય છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ Navratri Culture Why is Navratri celebrated for 9 days these are reasons for Navratri Celebration Navratri Culture: શા માટે નવરાત્રી 9 દિવસ માટે ઉજવાય છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/7f5fba4f7d06ba938b6f0dc3948a8603166286759003376_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Navratri Culture: આસો સુદ એકમ થી નોમ સુધી હિન્દુ ધર્મમાં શક્તિની પુજા આરાધના કરતો સૌથી મોટો તહેવાર નવરાત્રી ઉજવવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન દેવી શક્તિની પુજા, હોમ-હવન, જાપ, કરવામાં આવે છે અને સાથે જ ભક્તો ઉપવાસ પણ કરે છે. ત્યારે આવો જાણીએ કે નવરાત્રી શા માટે 9 દિવસ ઉજવવામાં આવે છે અને નવરાત્રીનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે?
નવરાત્રીના 9 દિવસની ઉજવણીનું ધાર્મિક કારણઃ
એક પૌરાણિક કથા મુજબ મહિષાસુર નામના રાક્ષસે ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા. મહિષાસુરે અગ્નિદેવ પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે. આ વરદાન મેળવ્યા મહિષાસુર પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ ગભરાયા અને ભગવાન મહાદેવ પાસે પહોંચ્યા. મહાદેવને બધા દેવોએ પ્રાર્થના કરી કે, મહિષાસુરની મુસીબતમાંથી ઉગારો.
મહાદેવ શંભુએ બધા દેવોને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે, આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે. બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ દેવી શક્તિ માંએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. આમ 9 દિવસ સુધી ચાલેલા યુદ્ધના કારણે જ નવરાત્રીની ઉજવણી 9 દિવસ સુધી કરવામાં આવે છે.
આ છે નવરાત્રી ઉજવવાનું વૈજ્ઞાનિક કારણઃ
નવરાત્રી મનાવવાના વિવિધ ધાર્મિક અને પૌરાણિક કારણો તો છે જ, પણ સાથે-સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. નવરાત્રીનો ઉત્સવ આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી ઉજવાય છે. આ નવ દિવસના સમયગાળા પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે એટલે કે, બે ઋતુઓ જેવું સમાન વાતાવરણ-હવામાન હોય છે. જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સાનાન્ય રીતે શરીરમાં વાત, કફ, પિત્તનું પ્રમાણ વધ-ઘટ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટતી જાય છે. જેથી કરીને નવરાત્રીના આ નવ દિવસમાં જાપ, ઉપવાસ, સાફ-સફાઈ, શારીરિક શુદ્ધિ, ધ્યાન, હવન વગેરે કરવામાં આવે છે. આ બધાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. તેનાથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)