રેલવે ભરતી પરીક્ષાઓમાં મોટો ફેરફાર, હવે વિભાગીય પરીક્ષાઓ પણ ઓનલાઈન; જાણો CBT- TBT વચ્ચેનો તફાવત
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ્વે ભરતી પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે તમામ વિભાગીય પરીક્ષાઓ CBT મોડમાં લેવા અને TBTનો વ્યાપ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

રેલવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ (RRB)ની ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી અને ભરતી પરીક્ષાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.
ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, હવે રેલવેની તમામ વિભાગીય પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) દ્વારા લેવામાં આવશે. સાથે જ અધિકારીઓને ભરતી પરીક્ષાઓમાં શક્ય હોય ત્યાં સુધી ટેબ્લેટ આધારિત ટેસ્ટિંગ (TBT)નો વ્યાપ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી પરીક્ષા પ્રક્રિયાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવી શકાય.
બેઠકમાં ભરતી પ્રક્રિયાની પારદર્શિતા, ચોકસાઈ અને સમયબદ્ધતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. રેલવેનું લક્ષ્ય ઉમેદવારોને વધુ સારો અનુભવ આપવાનો અને ટેક્નોલોજીની મદદથી પસંદગી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે.
આ પણ વાંચો: જાહેરનામા બાદ ચર્ચામાં આવેલી ભરૂચની જુમ્મા મસ્જિદ, જાણો વિવાદની સંપૂર્ણ કહાણી
CBT અને TBT શું છે?
રેલવે ભરતી પરીક્ષાઓમાં ઉપયોગમાં લેવાતી CBT (Computer-Based Test) અને TBT (Tablet-Based Test) બંને ડિજિટલ પરીક્ષા પદ્ધતિઓ છે, પરંતુ તેમની કામગીરી અને ટેક્નિકલ માળખામાં મહત્વનો તફાવત છે.
CBT એટલે કે કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં ઉમેદવારોએ ડેસ્કટોપ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવી પડે છે. આ માટે મોટા પરીક્ષા કેન્દ્રો, કોમ્પ્યુટર લેબ, નેટવર્કિંગ સિસ્ટમ અને અન્ય ટેક્નિકલ સુવિધાઓની જરૂર પડે છે. હાલમાં રેલવે અને અન્ય સરકારી ભરતીની મોટાભાગની પરીક્ષાઓ CBT મોડમાં યોજાય છે.
જ્યારે TBT એટલે કે ટેબ્લેટ આધારિત પરીક્ષામાં ઉમેદવારો ટેબ્લેટ ડિવાઇસ પર પરીક્ષા આપે છે. તેમાં અલગથી કીબોર્ડ, માઉસ અથવા મોટા કોમ્પ્યુટર સેટઅપની જરૂર પડતી નથી. નિષ્ણાતોના મતે, TBT દ્વારા ઓછી સુવિધાઓમાં પણ પરીક્ષા યોજી શકાય છે અને દૂરના વિસ્તારો સુધી પરીક્ષા કેન્દ્રોનો વ્યાપ વધારી શકાય છે.
રેલવે ભરતી પ્રક્રિયામાં આવશે ઝડપ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, રેલવે દ્વારા શરૂ કરાયેલા વાર્ષિક ભરતી કેલેન્ડરને ઉમેદવારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેના કારણે ઉમેદવારોને સમયસર ખાલી જગ્યાઓ અને ભરતી પ્રક્રિયા અંગેની માહિતી મળી રહી છે.
તેમણે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતીય રેલવેએ વિવિધ પદો પર 43,781 ઉમેદવારોની નિમણૂક કરી છે. ટેક્નોલોજી આધારિત અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયાના કારણે નિમણૂકોમાં નોંધપાત્ર વધારો થયો છે.
આંકડા મુજબ, ગયા નાણાકીય વર્ષ દરમિયાન 18,799 આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP), 14,298 ટેક્નિશિયન અને 1,376 પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કેટેગરીઓમાં પણ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી છે.
રેલવે ભરતી પરીક્ષા કેમ જટિલ હોય છે?
રેલવે ભરતી બોર્ડની પરીક્ષા દેશની સૌથી મોટી ભરતી પરીક્ષાઓમાંની એક ગણાય છે. રેલવેના જણાવ્યા મુજબ ભરતી પ્રક્રિયા ખૂબ વ્યાપક અને જટિલ હોય છે, કારણ કે પરીક્ષાઓ દેશભરના વિવિધ શહેરો અને હજારો પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવે છે.
લાખો ઉમેદવારોની ભાગીદારીને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ અનેક શિફ્ટમાં યોજવી પડે છે. ઉપરાંત, દેશના વિવિધ રાજ્યોના ઉમેદવારોની સુવિધા માટે પરીક્ષા 15 ભાષાઓમાં લેવામાં આવે છે.
રેલવેના જણાવ્યા અનુસાર, મલ્ટી-સિટી, મલ્ટી-શિફ્ટ અને મલ્ટી-લિંગ્વલ પરીક્ષા પદ્ધતિને સફળતાપૂર્વક સંચાલિત કરવા માટે મજબૂત ટેક્નિકલ વ્યવસ્થા અને વ્યાપક સંકલનની જરૂર પડે છે. તેનો મુખ્ય હેતુ ભરતી પ્રક્રિયામાં નિષ્પક્ષતા, પારદર્શિતા અને એકરૂપતા સુનિશ્ચિત કરવાનો છે.
Education Loan Information:
Calculate Education Loan EMI






















