Air India Plane Crash: વિમાન દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ, AAIB, NTSB, FAA, ICAOની ટીમોએ શરૂ કરી તપાસ
Air India Plane Crash: તે સિવાય બોઈંગ, AIની ટીમે પણ સ્થળ પર તપાસ શરૂ કરી હતી. બોઈંગના નિષ્ણાંતોએ વિમાનના કાટમાળના દરેક નાના-મોટા ભાગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું

Air India Plane Crash: એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ માટે અમદાવાદમાં અમેરિકાની એજન્સીઓ ધામા નાખ્યા હતા. AAIB, NTSB, FAA, ICAOની ટીમોએ તપાસ શરૂ કરી હતી. તે સિવાય બોઈંગ, AIની ટીમે પણ સ્થળ પર તપાસ શરૂ કરી હતી. બ્યૂરો સાથે અમેરિકાની એજન્સી પણ તપાસમાં જોડાઈ છે. રવિવારે અમેરિકાની એજન્સીઓએ 43 મિનિટ સુધી એન્જિન સહિતના અવશેષોની તપાસ કરી હતી. આ પછી એર ઈન્ડિયાની બ્રિટનથી આવેલી ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્લેન ક્રેશ થયું તે જગ્યા અને દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના ભાગોની તપાસ કરી હતી. બોઈંગના નિષ્ણાંતોએ વિમાનના કાટમાળના દરેક નાના-મોટા ભાગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને એન્જિન, પંખો, ફ્યૂઝલેજ, કંટ્રોલ સરફેસ અને અન્ય મહત્વના પાસાની તપાસ કરી હતી. આ ઉપરાંત પ્લેનના નિયમિત મેઈન્ટેનન્સનો રેકોર્ડસ પણ ચકાસવામાં આવ્યો હતો. કોઈ જાળવણી સંબંધિત ક્ષતિ રહી ગઈ હોય તો તે જાણી શકાય છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયની એક ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ પીએમ મોદીના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા કરી રહ્યા છે અને તેઓ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં રહેશે અને આ દરમિયાન તેઓ મુખ્ય પ્રધાન સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન, ડૉ.પી.કે. મિશ્રા શોકગ્રસ્ત પરિવારોને મળ્યા, DNA નમૂના મેચિંગનું અવલોકન કર્યું અને અધિકારીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ તેઓ શહેરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. ઉચ્ચ-સ્તરીય ટીમનો મુખ્ય ઉદ્દેશ રાહત, બચાવ અને તપાસના પ્રયાસોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાનો છે.
પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રાએ હાઈલેવલ બેઠક કરી હતી. અમદાવાદમાં ડીજીપી ગુજરાત વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. ડૉ. પી. કે. મિશ્રાએ અધિકારીઓને પીડિતોની ઓળખ પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. ડૉ. પી. કે. મિશ્રા સિવિલ હોસ્પિટલમાં પીડિતો અને પરિવારોને પણ મળ્યા હતા. મિશ્રાએ મેઘાણી નગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજ નજીક અકસ્માત સ્થળની સમીક્ષા કરી જ્યાં રાજ્ય સરકાર, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ તેમને ઘટનાઓના ક્રમ અને તાત્કાલિક પ્રતિભાવ પગલાં વિશે માહિતી આપી હતી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન ડૉ. મિશ્રાએ શોકગ્રસ્ત પરિવારોને મળ્યા હતા. DNA નમૂના મેચિંગનું અવલોકન કર્યું અને અધિકારીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો, જેથી એક સરળ અને કરુણાપૂર્ણ પ્રક્રિયા સુનિશ્ચિત થાય. તેમણે ઘાયલ પીડિતો સાથે પણ વાતચીત કરી હતી. હોસ્પિટલના અધિકારીઓને તેમની તબીબી સારવાર અને સ્વસ્થતાને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.
ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે ડૉ. મિશ્રાએ DNA નમૂના લેવાના પ્રયાસોની સમીક્ષા કરી અને વૈજ્ઞાનિક ચોકસાઈ જાળવી રાખીને ઝડપથી ઓળખ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા ડૉ. મિશ્રાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો, AAIB અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલુ રાહત, બચાવ અને તપાસ પ્રયાસોની ચર્ચા કરી હતી. AAIB એ વિગતવાર તપાસ શરૂ કરી છે અને વિમાન અમેરિકન બનાવટનું હોવાથી યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ સમાંતર તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ પુષ્ટી આપી કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) શોધી કાઢવામાં આવ્યા છે અને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
ડૉ. મિશ્રાએ પીડિતોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને સંકળાયેલી તમામ એજન્સીઓમાં સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુખ્ય સચિવની સાથે પીએમઓના અધિકારીઓ શ્રી તરુણ કપૂર, પ્રધાનમંત્રીના સલાહકાર અને શ્રી મંગેશ ઘિલડિયાલ, નાયબ સચિવ, પીએમઓ પણ હતા.





















