Ahmedabad: માંડવીના હત્યાના આરોપીને કાગડાપીઠ પોલીસે ઝડપી પાડ્યો, પત્નીની હત્યા બાદ થયો હતો ફરાર
Ahmedabad: અમદાવાદ શહેરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ પ્રસંશનીય કામગીરી કરીને હત્યાના ગુનાને ઉકેલી કાઢ્યો હતો

Ahmedabad: અમદાવાદ કાગડાપીઠ પોલીસે વધુ એક પ્રસંશનીય કામગીરી કરી છે. તાજેતરમાં જ એક નાસતા ફરતા હત્યાના આરોપીને અમદાવાદ શહેરમાં દબોચી લીધો છે. ખરેખરમાં, સુરતના માંડવીમાં પોતાની પત્ની હત્યા કરીને નાસતા ફરતા આરોપીને શહેરના ગીતામંદિર બસ સ્ટેશન પરથી કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આ પછી આરોપીને માંડવી પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ પ્રસંશનીય કામગીરી કરીને હત્યાના ગુનાને ઉકેલી કાઢ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરે શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હતી, જેને અનુસંધાને શહેરના જુદાજુદા વિસ્તારોમાં પીઆઇ એસ.એ. ગોહિલ અને પીઆઇ એસ.એસ.સોલંકીની ટીમે પેટ્રૉલિંગ શરૂ કર્યુ હતુ, આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સુરતના માંડવીનો એક આરોપી શહેરની ગીતા મંદિર બસ સ્ટેશન પર ફરી રહ્યો છે. આ બાતમીના આધારે કાગડાપીઠ પોલીસની ટીમે આરોપી શખ્સ દિનેશભાઇ વેલજીભાઇ ડામોરને ઝડપી પાડ્યો હતો, આરોપી દિનેશ ડામોર મૂળ સંતરામપુરનો રહેવાસી છે અને સુરતના માંડવીમાં એસટી ડ્રાઇવરની નોકરી કરતો હતો, જ્યારે તે માંડવી રહેતો હતો ત્યારે તેની પત્ની સાથે વારંવાર પીયર જવાની બાબતે ઝઘડા થતા હતા, જે પછી દિનેશ ડામોરે પત્નીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. ઘરને તાળુ મારીને ત્યાંથી નાસી છૂટેલા દિનેશ ડામોર પર માંડવી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યાના આ ગુનાને લઇને અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસે તેને ગીતામંદિર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં આરોપી દિનેશ ડામોરને માંડવી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.





















