શોધખોળ કરો
અમદાવાદના પોશ વિસ્તારની આ હોસ્પિટલમાં લાગી આગ, ICUમાં ભરતી કોરોનાના 8 દર્દીનાં મોત, જાણો મૃતકોનાં નામ
ઘટનાની જાણ થતાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, પૂર્વ મેયર અમિત શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રી મોદીએ મૃતકોને રૂપિયા બે લાખની અને ઘાયલોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.

અમદાવાદ: અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે. મૃતકોના નામ - આયશાબેન તિરમીજી, પાલડી - જ્યોતિબેન સિંધી, ખેરાલુ - અરવિંદભાઈ ભાવસાર, મેમનગર - નવીનલાલ શાહ, ધોળકા - આરીફ મન્સુરૂ, વેજલપુર - લીલાવતીબેન શાહ, વાસણા - નરેન્દ્રભાઈ શાહ, ધોળકા - મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર
વધુ વાંચો





















