1લી જુલાઈથી રેલવેના 5 મોટા નિયમો બદલાશે! ટિકિટ બુકિંગ, ભાડું, વેઇટિંગ લિસ્ટ... બધું બદલાશે, મુસાફરો પર સીધી અસર!
આધાર લિંકિંગ, OTP, ભાડામાં વધારો, વેઇટિંગ લિસ્ટની મર્યાદા અને રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર; IRCTC દ્વારા પારદર્શિતા વધારવાનો પ્રયાસ.

Indian Railways July 2025 changes: જો તમે ભારતીય રેલવેમાં નિયમિતપણે મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જુલાઈ 1, 2025 થી ભારતીય રેલવે ટિકિટ બુકિંગ સંબંધિત પાંચ મોટા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફારો તત્કાલ ટિકિટથી લઈને વેઇટિંગ લિસ્ટ, ભાડું અને રિઝર્વેશન ચાર્ટના સમય સુધીની સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવશે, જેની સીધી અસર લાખો મુસાફરો પર પડશે.
ચાલો વિગતવાર જાણીએ કે જુલાઈ 1 થી કયા ફેરફારો લાગુ પડશે અને મુસાફરો પર તેમની શું અસર થશે:
- તત્કાલ બુકિંગ માટે IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત: જુલાઈ 1 થી, તત્કાલ ટિકિટ બુકિંગ ફક્ત તે મુસાફરો માટે જ ઉપલબ્ધ થશે જેમનું IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હશે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે બુકિંગની પ્રથમ 10 મિનિટ માટે ફક્ત આધાર લિંક્ડ યુઝર્સ જ ટિકિટ બુક કરી શકશે. આ સમયગાળા દરમિયાન રેલવે એજન્ટો તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે જો તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય, તો તત્કાલ ટિકિટ મળવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. તેથી, સમયસર તમારી પ્રોફાઇલ અપડેટ કરવી અનિવાર્ય છે.
- ટ્રેન ટિકિટ બુકિંગ માટે આધાર OTP ફરજિયાત: ટિકિટને સુરક્ષિત બનાવવા અને નકલી બુકિંગ અટકાવવા માટે રેલવેએ વધુ એક મોટું પગલું ભર્યું છે. જુલાઈ 15 થી, જ્યારે તમે ટિકિટ બુક કરશો, ત્યારે આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. આ OTP દાખલ કર્યા વિના ટિકિટ બુક થશે નહીં. આ ઉપરાંત, રેલવે એજન્ટો બુકિંગ વિન્ડો ખુલ્યા પછી 30 મિનિટ સુધી તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં. ભવિષ્યમાં, કાઉન્ટર પરથી બુક થતી તત્કાલ ટિકિટ માટે પણ આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી શકે છે.
- રેલ્વે ટિકિટના ભાડામાં વધારો: AC અને નોન-AC બંને મોંઘા થશે: જુલાઈ 1 થી રેલવેએ ટિકિટ ભાડામાં નજીવો વધારો કર્યો છે. હવે નોન-AC ક્લાસના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે AC ક્લાસના ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો થશે. આનો અર્થ એ છે કે જો તમે 500 કિમીની મુસાફરી કરો છો, તો તમારે AC માં 10 રૂપિયા વધુ અને નોન-AC માં 5 રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. 1000 કિમીના અંતર માટે, આ વધારો 10 થી 20 રૂપિયા સુધીનો હોઈ શકે છે. રેલવેને આશા છે કે આ નિર્ણયથી વાર્ષિક 900 કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક થશે.
- વેઇટિંગ ટિકિટ પર પણ મર્યાદા નક્કી કરવામાં આવી: હવે, કોઈપણ ક્લાસમાં કુલ બેઠકો સામે 25% થી વધુ વેઇટિંગ ટિકિટ જારી કરવામાં આવશે નહીં. એટલે કે, જો એક કોચમાં 100 સીટો હોય, તો હવે વેઇટિંગ ટિકિટ ફક્ત 25 સુધી જ મર્યાદિત રહેશે. આનાથી વધુ ભીડવાળા રૂટ પર મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે, પરંતુ આ નિયમ મુસાફરો માટે સ્પષ્ટ અને પારદર્શક બુકિંગ સિસ્ટમ બનાવવાનો પ્રયાસ છે. મહિલા અને દિવ્યાંગ મુસાફરોને આ નિયમથી રાહત આપવામાં આવી છે.
- હવે ટ્રેન ઉપડે તેના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરાશે: રિઝર્વેશન ચાર્ટ હવે ટ્રેન ઉપડે તેના બરાબર 8 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. અગાઉ આ ચાર્ટ 4 કલાક પહેલા બનાવવામાં આવતો હતો. આ નવા નિયમથી મુસાફરોને અગાઉથી ખબર પડશે કે તેમની ટિકિટ કન્ફર્મ છે કે નહીં. જો ટિકિટ વેઇટિંગમાં રહે છે, તો તેમની પાસે અન્ય વિકલ્પ પસંદ કરવા માટે 8 કલાકનો વધારાનો સમય મળશે. બપોરે 2 વાગ્યા પહેલા દોડતી ટ્રેનોનો ચાર્ટ રાત્રે 9 વાગ્યે તૈયાર કરવામાં આવશે.
રેલવેના આ પાંચ મોટા ફેરફારોની સીધી અસર દરરોજ ટિકિટ બુક કરાવતા મુસાફરો પર પડશે. જો તમે કોઈપણ અવરોધ વિના મુસાફરી કરવા માંગતા હો, તો આ નવા નિયમોને સમજી લો અને જુલાઈ 1 પહેલા જરૂરી તૈયારીઓ કરી લો.





















