2000 રૂપિયાની નોટને લઈને RBIએ કર્યો મોટો ખુલાસો, લોકો પાસે છે હજુ કરોડો રૂપિયાની નોટ
19 મે 2023ના રોજ જ્યારે તેમને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે કુલ 2000 રૂપિયાની નોટો ચલણમાં 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે રૂપિયા 5,956 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાના મૂલ્યની નોટો હજુ પણ ચલણમાં છે, જ્યારે આ નોટોને 19 મે 2023ના રોજ ચલણમાંથી બહાર કરવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. 2000 રૂપિયાની નોટો હજુ પણ કાયદેસર ટેન્ડર છે. 19 મે 2023ના રોજ જ્યારે તેમને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે કુલ 2000 રૂપિયાની નોટો ચલણમાં 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની હતી. 31 ઓગસ્ટ 2025 સુધીમાં આ રકમ ઘટીને 5,956 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 98.33 ટકા નોટો પરત કરવામાં આવી છે.
RBIની 19 ઈશ્યુ ઓફિસોમાં લોકો 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે અથવા બદલી શકે છે. 9 ઓક્ટોબર 2023થી RBIએ આ નોટોને બેન્ક ખાતામાં જમા કરાવવાની સુવિધા પણ શરૂ કરી છે. ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ નાગરિક પોતાની 2000 રૂપિયાની નોટો પોસ્ટ દ્વારા RBI ની ઈશ્યુ ઓફિસમાં મોકલી શકે છે, જે તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં RBI ની ઈશ્યુ ઓફિસ આવી છે. 2000 રૂપિયાની નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નવેમ્બર 2016માં જાહેર કરવામાં આવી હતી.
નવેમ્બર 2016માં નોટબંધી પછી 2,000 રૂપિયાની નોટ બજારમાં રજૂ કરવામાં આવી હતી. તેનો હેતુ તાત્કાલિક રોકડની અછતને પહોંચી વળવાનો હતો. પરંતુ ધીમે ધીમે સરકારે તેનું છાપકામ ઘટાડ્યું અને આખરે 2023માં તેને પાછી ખેંચી લીધી. RBI ના આંકડા દર્શાવે છે કે લગભગ બધાએ 2,000 રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી મોકલી દીધી છે, પરંતુ હજુ પણ લગભગ 6,000 કરોડ રૂપિયાની આવી નોટો ચલણમાં બાકી છે. તે સ્પષ્ટ છે કે ધીમે ધીમે આ નોટો સંપૂર્ણપણે બંધ થઈ જશે, પરંતુ હાલમાં બજારમાં તેને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી છે.





















