ગુજરાતના 6 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ ઉઠાવવા મુદ્દે સરકારે શું લીધો મોટો નિર્ણય?
ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મનપા વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના માટેના નિયંત્રણો અંગેની ગાઈડ લાઈન આજે જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 31મી ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મનપા વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે, રાજકોટમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 15 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જામનગરમાં ત્રણ, વડોદરામાં બે, મહેસાણામાં એક, આણંદમાં એક, સુરતમાં ત્રણ, અમદાવાદમાં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક ઓમિક્રોનનો કેસ નોંધાયા છે.
અમદાવાદમાં દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તાન્ઝાનિયાથી મેડિકલની સારવાર માટે આવેલ દંપત્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયું હતું. આ સાથે અમદાવાદમાં આજે ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય આજે રાજકોટમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. બે દિવસ પહેલા તાન્ઝાનિયાથી રાજકોટ આવેલ વિદ્યાર્થીને ઓમિક્રોન સંક્રમિત થયો હતો. ઓમિક્રોન સંક્રમિત વિદ્યાર્થીને પીડીયુ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર માટે ખસેડાયો હતો.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 55 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 87,198 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં ત્રણ, નવસારીમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, રાજકોટમાં બે, દેવભૂમિ દ્વારકામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, મહેસાણામાં એક, વલસાડમાં એક નવો કેસ નોંધાયો હતો.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત






















