Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gujarat UCC Panel: રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો હતો

Gujarat UCC Panel: રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો હતો. UCC કમિટીના સભ્યોએ મુખ્યમંત્રીને નિવાસસ્થાને રિપોર્ટ સોંપ્યો હતો. વિધાનસભા બજેટ સત્રના અંતમાં સરકાર UCC વિધેયક લાવશે. આજે વિધાનસભા કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં ચર્ચા કરાશે. આગામી 4 મહિનામાં UCC લાગુ થાય તે મુજબની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે. પૂર્વ જજ રંજના દેસાઈની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. 4 ફેબ્રુઆરી 2025ના રોજ UCC માટે 5 સભ્યોની કમિટી બનાવાઈ હતી. 45 દિવસમાં કમિટીને UCC લાગુ કરવા સંદર્ભનો રિપોર્ટ સબમિટ કરવા કહેવાયું હતું
મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. હવે બપોરે દોઢ વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે. વિધાનસભાના બજેટ સત્રના અંતમાં વિધેયક ગૃહમાં રજૂ કરાય તેવી શક્યતા છે. સાથે જ આગામી ચાર મહિનામાં રાજ્યમાં યુસીસી લાગૂ કરવાની સરકારની તૈયારી છે. 4 ફેબ્રુઆરી, 2025ના રોજ આ કમિટી રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. દિલ્હીમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય મુલાકાત બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચર્ચાઓ તેજ બની હતી. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રના નેતાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના મતે સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર માર્ચના છેલ્લા વીકમાં વિધાનસભા સત્રમાં UCC સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ રજૂ કરી શકે છે અને તેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જો આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હક જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકો માટે એકસરખા નિયમો લાગુ થશે.
આ કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મ, જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાયો મેળવ્યા હતા. ત્યારે 17મી માર્ચે કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.























