Ambalal Patel: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈ આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર ગુજરાતના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈ આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર ગુજરાતના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની તેમણે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છ-રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દાહોદ-પંચમહાલમાં પણ હળવા વરસાદી ઝાપટાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. ઉતર ભારતના કેટલાક વિસ્તારમાં બરફના તોફાનની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. 20 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે.
રાજ્યમાં ઠંડીની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં હજુ ફેબ્રુઆરીના 2 સપ્તાહ સુધી ઠંડી અનુભવાશે. ખાસ કરીને 20 ફેબ્રુઆરી બાદ તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી વધતાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે, દિવસનું તાપમાન 32 ડિગ્રી ઉપર જઇ શકે છે.
મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક સંતરામપુર શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દિધી છે. કમોસમી વરસાદના કારણે વાવેતર કરેલ પાક તેમજ ઘાસચારાની નુકસાનની ભીતિ છે.
વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ
મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. આકાશમાં કાળા વાદળો સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સતત છેલ્લા કેટલાક દિવસોથી મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે વાવેતર કરેલ શિયાળુ પાકમાં જીવાત પડવાની શક્યતાને લઇ ખેડૂતો ચિંતિત છે. ઠંડા પવનો ફુંકાવાની સાથે વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળો વધે તેવી પણ શક્યતા છે. બેવડી ઋતુ વચ્ચે લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, વિરપુર, ખાનપુર, કડાણા, ગોધર, કોઠંબા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું હતું.





















