કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
Gram Panchayat Election 2025: ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો

Gram Panchayat Election 2025: ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. કડી અને વિસાવદર મતવિસ્તારમાં આવતી 178 ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. કડી અને જોટાણા તાલુકાની 103 ગ્રામ પંચાયત અને વિસાવદર,ભેસાણ,જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના બગસરા તાલુકાની 75 ગ્રામ પંચાયતની ચૂંટણી મુલવતી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનો સ્ટાફ વિધાનસભા પેટા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી મહિને બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.
ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે
આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ જશે. તાજા અપડેટ પ્રમાણે, 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે રહેશે, 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી થશે, 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. રાજ્યમાં 8 હજાર 326 પંચાયતોની બેલેટ પેપરથી યૂંટણી યોજાશે. 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
ખાસ વાત છે કે, 5 હજાર 115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 44 હજાર 850 વોર્ડ, 16 હજાર 500 મતદાન મથકો સજ્જ કરાયા છે. 28 હજાર 300 જેટલી મતપેટીઓ છે, 1 કરોડ 30 લાખથી વધુ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ પ્રથમવાર પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. નોંધનીય છે કે ભાજપે વિસાવદરની બેઠક કબજે કરવા માટે જોરદાર કવાયત હાથ ધરી છે, ચાર મોટા નેતાઓને જવાબદારી સોંપી છે, જેમાં જગદીશ પંચાલ, રાઘવજી પટેલ, હીરા સોલંકી, કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે નક્કી પાટીદારો વચ્ચે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે.





















