Gandhinagar: આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે પછી તરત જ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. ભાજપ તરફથી પૂર્ણેશ મોદી જ્યારે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જો કોંગ્રેસ દાવેદારી પરત નહીં ખેંચે તો ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ભાજપે ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો છે. 3 લાઈનના વ્હીપમાં તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
વિધાનસભામાં ભાજપના કુલ 162, કોંગ્રેસના 12 ધારાસભ્યો જ છે. આ વખતે સત્રના પ્રારંભના બીજા દિવસને બદલે 18મીએ એટલે કે બુધવારે ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારનું વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરશે. સરકારનું વર્ષ 2025-26નું બજેટ કૂલ 3.70 લાખ કરોડનું હતું. જેમાં 10થી 15 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે.
બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની મળશે બેઠક
વિધાનસભાના બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિધાનસભાના ચોથા માળે બેઠક મળશે. સરકારને ઘેરવાની વિપક્ષની સંભવિત રણનીતિ ખાળવા મુદ્દે ચર્ચા થશે. ઉપાધ્યક્ષની ચૂંટણી થાય તો ધ્વનિ મતદાન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અપાશે. વિધાનસભા સત્રમાં ગૃહની અંદર ઉઠાવવાના મુદ્દા અંગે ચર્ચા થશે. વિવિધ ઠરાવો, વિધેયકો અને માંગણી પરની ચર્ચામાં ભાગ લેવા માર્ગદર્શન સંદર્ભે અપાશે. તમામ ધારાસભ્યોને સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા વ્હીપ અપાયું છે. ગેરહાજર રહેવા મુદ્દે ધારાસભ્યોને દંડકની પૂર્વ મંજૂરી લેવા સૂચના અપાઈ છે.
આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક
બજેટ સત્ર પહેલા આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળશે. ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા થશે. ઉપાધ્યક્ષની ચૂંટણી થાય તો તમામે ગૃહમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. જનઆક્રોશ યાત્રાનો મુદ્દો કોંગ્રેસ વિધાનસભામાં ઉઠાવશે. દારુ, ડ્રગ્સના દૂષણ અંગે સરકારને ગૃહમાં બહાર ઘેરવાની રણનીતિ ઘડાશે. બેરોજગારી, જમીનની બાબતો, ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરશે.
આ સત્રમાં શું ખાસ હશે?
• નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.
• સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન 'યુનિફોર્મ સિવિલ કોડ' સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.























