હા, ABP અસ્મિતાના અનુમાન મુજબ, આ વખતે 2021 કરતાં વધુ મતદાન થવાના સંકેતો છે. ખાસ કરીને નવી બનેલી મહાનગરપાલિકાઓમાં મતદારોનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે.
Gujarat Election 2026: SIRની કામગીરીથી સુધરેલી વોટર લિસ્ટની મતદાન પર કેવી અસર? શું આ વખતે પરિણામો ચોંકાવનારા હશે?
નવી બનેલી મહાનગરપાલિકાઓ વાપી, નવસારી અને મોરબીમાં મતદારોનો ભારે ઉત્સાહ; જ્યારે મોટા શહેરોમાં ધીમા મતદાનથી ઉમેદવારો ચિંતામાં, SIR ની કામગીરીથી મતદારયાદી સુધરતા 2021 કરતા સારા મતદાનના સંકેત.

- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1.5 કલાક બાકી, મતદાન વધવાની આશા.
- SIR કામગીરીથી મતદાર યાદી સુધારાથી મતદાન ટકાવારી વધશે.
- અમદાવાદ, સુરત જેવા શહેરોમાં 2021 થી વધુ મતદાન શક્ય.
- નવી બનેલી વાપી, નવસારી, મોરબી મનપામાં ભારે ઉત્સાહ.
Gujarat Election 2026 SIR impact: ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને પૂર્ણ થવામાં હવે માત્ર 1.5 કલાકનો (દોઢ કલાક) જ સમય બાકી રહ્યો છે. બપોર સુધી મોટા શહેરોમાં ધીમું મતદાન જોવા મળ્યું હતું, જેનાથી ઉમેદવારોની ચિંતા વધી ગઈ હતી. પરંતુ તાજેતરના આંકડાઓ અને ABP અસ્મિતાના ખાસ અનુમાન મુજબ, આ વખતે પંચાયતો અને પાલિકાઓમાં 2021 ની ચૂંટણી કરતા વધુ મતદાન થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. નવી બનેલી મહાનગરપાલિકાઓના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધી સરેરાશ 41 ટકા વોટિંગ નોંધાઈ ચૂક્યું છે.
ABP અસ્મિતાના પૂર્વાનુમાન મુજબ, આ વખતની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની સાથે-સાથે નગરપાલિકાઓમાં પણ 2021 ની સરખામણીએ મતદાનની ટકાવારી વધવાની પૂરી શક્યતા છે. મહાનગરપાલિકાઓમાં પણ 2021 જેટલું કે તેનાથી થોડું વધુ મતદાન થઈ શકે છે. આ વખતે વોટિંગ ટકાવારી વધવા પાછળનું મુખ્ય કારણ 'SIR' ની કામગીરી છે. આ પ્રક્રિયાથી મતદારયાદીમાં મોટો સુધારો થયો છે, જેનાથી વાસ્તવિક મતદાનની ટકાવારી ઊંચી જવાની પૂરેપૂરી સંભાવના છે.
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 2021 ની ચૂંટણીમાં 42.51 ટકા મતદાન થયું હતું. આજના મતદાનમાં અત્યાર સુધીમાં અહીં 38.16 ટકા વોટિંગ થઈ ચૂક્યું છે, અને અંતિમ આંકડો 2021 ને પાર કરે તેવા સંકેત છે. સુરતમાં પણ અત્યાર સુધી 44 ટકા મતદાન નોંધાયું છે અને તેમાં વધારો થવાની શક્યતા છે. જોકે, અન્ય મોટા શહેરો જેમ કે રાજકોટમાં 39.13 ટકા, વડોદરા અને જામનગરમાં 40 ટકા, પોરબંદરમાં 32 ટકા અને ગાંધીધામમાં 33.19 ટકા જેટલું ધીમું વોટિંગ જોવા મળ્યું છે, જેને લઈને ઉમેદવારો ભારે ટેન્શનમાં મુકાયા છે.
બીજી તરફ, નવી બનેલી મહાનગરપાલિકાઓમાં મતદારોનો ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો છે. અત્યાર સુધીના આંકડા મુજબ વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ અંદાજે 53.74 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે. તેવી જ રીતે નવસારી અને મોરબી મનપામાં પણ અંદાજે 51 ટકા વોટિંગ થયું છે. આ ઉપરાંત નડિયાદમાં 50 ટકા, કરમસદ-આણંદ મનપામાં 48 ટકા (કરમસદમાં 47.71 ટકા), સુરેન્દ્રનગરમાં 40 ટકા અને મહેસાણા મનપામાં 46.90 ટકા (અંદાજે 47 ટકા) જેટલું નોંધપાત્ર મતદાન થઈ ચૂક્યું છે. હવે અંતિમ દોઢ કલાકમાં કેટલા મતદારો બૂથ સુધી પહોંચીને મતાધિકારનો ઉપયોગ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
Frequently Asked Questions
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે?
મતદાનની ટકાવારી વધવા પાછળનું મુખ્ય કારણ શું છે?
આ વખતે મતદારયાદીમાં થયેલા મોટા સુધારાને કારણે 'SIR' ની કામગીરી મતદાનની ટકાવારી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
મોટા શહેરોમાં મતદાનની સ્થિતિ કેવી છે?
અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં 2021 કરતાં વધુ મતદાન થવાના સંકેત છે. જોકે, રાજકોટ, વડોદરા અને જામનગર જેવા શહેરોમાં મતદાન ધીમું રહ્યું છે.
નવી બનેલી મહાનગરપાલિકાઓમાં મતદાન કેવું રહ્યું છે?
નવી બનેલી મહાનગરપાલિકાઓમાં મતદારોનો ઉત્સાહ ખૂબ વધારે છે. વાપી, નવસારી અને મોરબી જેવી મનપાઓમાં 50% થી વધુ મતદાન નોંધાયું છે.






















