ચાલુ ચોમાસામાં કુદરતી આફતોને કારણે રાજ્યમાં કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ 6 મોત આણંદ જિલ્લામાં નોંધાયા છે.
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
Gujarat monsoon deaths: ભારે વરસાદ અને પૂરે રાજ્યમાં સર્જી તારાજી, NDRF-SDRF દ્વારા 134 લોકોનું સફળ રેસ્ક્યુ, નર્મદા ડેમ 65% ભરાયો.

- ચાલુ ચોમાસામાં રાજ્યમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા છે.
- વરસાદથી 156 રસ્તા બંધ, 3294 ગામોમાં વીજ સંકટ.
- NDRF-SDRF દ્વારા 1578 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું.
- રાજ્યના 11 ડેમ માટે હાલ 'હાઈ એલર્ટ' જાહેર.
Gujarat monsoon deaths: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અનેક વિસ્તારો માટે આફત બનીને વરસ્યું છે. ચાલુ સિઝનમાં ભારે વરસાદ, વીજળી પડવાની ઘટનાઓ અને પૂરના કારણે સમગ્ર રાજ્યનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ક્યાંક રસ્તાઓ ધોવાયા છે, તો ક્યાંક હજારો ગામોમાં અંધારપટ છવાયો છે. તોતિંગ વરસાદે નદી-નાળાઓ છલકાવી દીધા છે, જેના કારણે તંત્રએ પણ એલર્ટ મોડ પર આવીને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. ચાલો જાણીએ રાજ્યમાં વરસાદી આફતનો હાલનો ચિતાર શું છે.
વરસાદનો કહેર: 36 લોકોએ ગુમાવ્યા જીવ
ચાલુ ચોમાસામાં કુદરતી આફતોએ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36 લોકોનો ભોગ લીધો છે.
સૌથી વધુ ખરાબ સ્થિતિ આણંદ જિલ્લામાં છે, જ્યાં 6 લોકોના મોત નોંધાયા છે.
આ ઉપરાંત ભરૂચમાં 5 અને પંચમહાલમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વડોદરા અને સુરતમાં 3-3, જ્યારે ખેડા, છોટાઉદેપુર અને જામનગરમાં 2-2 લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, નર્મદા, નવસારી, સાબરકાંઠા, તાપી, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના નિયમો મુજબ મૃતકોના પરિજનોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
156 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ
માર્ગ અને મકાન વિભાગના બપોરે 14:00 વાગ્યાના રિપોર્ટ અનુસાર, વરસાદી પાણી ભરાવાને કારણે રાજ્યભરમાં કુલ 156 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.
આમાં પંચાયતના 123, સ્ટેટ હાઈવેના 23, નેશનલ હાઈવેના 2 અને અન્ય 8 માર્ગોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ માઠી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે, જ્યાં નવસારીમાં 39, વલસાડમાં 38 અને સુરતમાં 23 રસ્તાઓ બંધ છે.
છેલ્લા 24 કલાકમાં જ નવા 68 રસ્તાઓ બંધ થયા છે, જોકે તંત્રની મહેનતથી 7 જૂના રસ્તાઓ ફરી ચાલુ કરી શકાયા છે.
આ પણ વાંચોઃ સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
વીજ સંકટ: 3294 ગામો પ્રભાવિત
ભારે પવન અને વરસાદે વીજ માળખાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યના 3294 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી વીજ કંપનીઓના રાત-દિવસના પ્રયાસોથી 3268 ગામોમાં ફરી અજવાળું પાથરી દેવાયું છે.
ભારે પવનથી 5923 વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જેમાંથી 1335 હજુ ઊભા કરવાના બાકી છે.
કુલ 6523 બંધ ફીડરોમાંથી 994 હજુ પણ બંધ હાલતમાં છે, જ્યારે 242 ખોરવાયેલા ટ્રાન્સફોર્મરમાંથી 82 નું રિપેરિંગ કાર્ય પેન્ડિંગ છે.
NDRF-SDRF ની 39 ટીમો મેદાનમાં, 1578 નું સ્થળાંતર
વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં NDRF ની 12 અને SDRF ની 27 ટીમો અત્યાધુનિક બોટ અને સાધનો સાથે ખડેપગે છે.
પૂરની સ્થિતિને જોતા રાજ્યભરમાંથી 1578 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે (સૌથી વધુ અમરેલીમાં 641, ગીર સોમનાથમાં 480).
ફસાયેલા 134 લોકોનું કોઈ પણ જાનહાનિ વિના સફળ રેસ્ક્યુ કરાયું છે, જેમાં અમરેલીના 76 અને ડાંગના 41 લોકો સામેલ છે.
જળાશયો છલકાયા: 11 ડેમ માટે 'હાઈ એલર્ટ'
પાણીની પ્રચંડ આવકને પગલે રાજ્યના 11 ડેમ માટે 'હાઈ એલર્ટ', 3 માટે 'એલર્ટ' અને 11 માટે 'વોર્નિંગ' જાહેર કરાઈ છે.
અમરેલીના ધાતરવડી અને સુરજવાડી, ભાવનગરના માલન અને શેત્રુંજી તેમજ તાપીનો દોસ્વાડા ડેમ 100% ભરાઈ ચૂક્યા છે.
સુરેન્દ્રનગરનો ધોળીધજા (94.11%) અને ભાવનગરનો રોજકી (98.81%) પણ હાઈ એલર્ટ પર છે.
આ પણ વાંચોઃ ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
નર્મદા ડેમની સ્થિતિ:
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 10640.50 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીનો સંગ્રહ 217168 mcft પર પહોંચ્યો છે, જે તેની કુલ ક્ષમતાના 65.01% છે. રાજ્યના અન્ય 206 ડેમોમાં સરેરાશ 40.35% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાંથી 5 ડેમ સંપૂર્ણપણે છલકાઈ ગયા છે.
Frequently Asked Questions
ગુજરાતમાં ચાલુ ચોમાસામાં વરસાદ સંબંધિત આફતોથી કેટલા લોકોના મોત થયા છે?
વરસાદને કારણે ગુજરાતમાં હાલ કેટલા રસ્તાઓ બંધ છે અને કયો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે?
રાજ્યભરમાં કુલ 156 રસ્તાઓ બંધ છે, જેમાં પંચાયતના 123 અને સ્ટેટ હાઈવેના 23 માર્ગોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને સુરત સૌથી વધુ પ્રભાવિત છે.
ભારે વરસાદ અને પવનના કારણે ગુજરાતમાં વીજળીની સ્થિતિ શું છે?
3294 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી 3268 માં ફરી શરૂ કરાયો છે. 5923 વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જેમાંથી 1335 હજુ ઊભા કરવાના બાકી છે.
ગુજરાતમાં ચોમાસાની આફતમાં કેટલા લોકોનું સ્થળાંતર અને બચાવ કરાયું છે?
NDRF અને SDRFની 39 ટીમો મેદાનમાં છે. રાજ્યભરમાંથી 1578 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે અને ફસાયેલા 134 લોકોનું કોઈ જાનહાનિ વિના સફળ રેસ્ક્યુ કરાયું છે.






















