હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ફરી માવઠાનો માર: જામનગરના લાલપુરમાં કરા પડ્યા, આગામી 72 કલાક ગુજરાત માટે ભારે
અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતોની ચિંતા વધી; બોટાદ માર્કેટ યાર્ડે ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા કડક સૂચના આપી.

- રાજ્યમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી.
- સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા.
- જામનગરના લાલપુરમાં કરા સાથે વરસાદ, પાકને મોટું નુકસાન.
- માર્કેટ યાર્ડમાં જણસ તાડપત્રીથી ઢાંકવા ખેડૂતોને અપીલ.
ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવામાનનો મિજાજ અચાનક બદલાયો છે અને આજથી સળંગ 3 દિવસ કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે. જામનગરના લાલપુર તાલુકામાં તો કરા સાથે વરસાદ પડતા ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે, જેને લઈને ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે.
જામનગરના લાલપુરમાં આકાશી બરબાદી
સૌથી પહેલા વાત કરીએ જામનગરની, તો અહીંના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ ભારે બરબાદી વેરી છે. અપિયા, બબરજર, ટેભડા અને ગોવાણા સહિતના ગામોમાં અચાનક જ ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાના કારણે ખેતરોમાં ઉભા ધાણા, ઘઉં અને ચણા સહિતના રવિ પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર ઉભો થયો છે.
આજે સાંજે 7 વાગ્યા સુધી ક્યાં-ક્યાં છે એલર્ટ?
હવામાન વિભાગે આજે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, દ્વારકા, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સાંજના સમય સુધીમાં ગાજવીજ સાથે આકાશી આફત વરસી શકે છે.
આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન? જાણો જિલ્લાવાર વિગત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વાતાવરણ પલટાયેલું રહેશે:
આજે (18 માર્ચ): કચ્છ, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે.
આવતીકાલે (19 માર્ચ): સિસ્ટમ વધુ સક્રિય થતાં કચ્છની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે માવઠું પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી), મધ્ય ગુજરાત (ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર) અને દક્ષિણ ગુજરાત (ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ) સહિત સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેશે.
પરમ દિવસે (20 માર્ચ): કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.
માર્કેટ યાર્ડ સત્તાધીશો એક્શનમાં, ખેડૂતોને ખાસ અપીલ
હવામાન વિભાગની આ આગાહીને પગલે રાજ્યના માર્કેટ યાર્ડના સત્તાધીશો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે. બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને ખાસ સૂચના આપી છે કે તેઓ પોતાની જણસ (પાક) ફરજિયાતપણે તાડપત્રીથી ઢાંકીને જ યાર્ડમાં વેચવા લાવે, જેથી વરસાદના કારણે પાક પલળી ન જાય અને તેમને કોઈ આર્થિક નુકસાન ન વેઠવું પડે.
Frequently Asked Questions
ગુજરાતમાં કેટલા દિવસ કમોસમી વરસાદની આગાહી છે?
કયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સૌથી વધુ શક્યતા છે?
સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જામનગરના લાલપુર તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો છે.
કમોસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને શું સૂચના આપી છે?
માર્કેટ યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને પોતાની જણસ (પાક) ફરજિયાતપણે તાડપત્રીથી ઢાંકીને યાર્ડમાં લાવવાની સૂચના આપી છે.
કમોસમી વરસાદથી કયા પાકને નુકસાન થવાની ભીતિ છે?
જામનગરના લાલપુર તાલુકામાં ધાણા, ઘઉં અને ચણા જેવા રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કારણે ખેડૂતો ચિંતિત છે.





















