ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની રાજનીતિમાં થશે એન્ટ્રી?, કયા પક્ષમાં જોડાશે તેને લઈને શું કહ્યુ?
વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે સમાજનો મત જાણી રાજનીતિમાં પ્રવેશની જાહેરાત કરીશ.

ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રી થશે. વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે સમાજનો મત જાણી રાજનીતિમાં પ્રવેશની જાહેરાત કરીશ. કયા પક્ષમાં જોડાવવું તે હજુ નક્કી ન કર્યું હોવાની વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી. વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે સમાજ અને સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ. મહાસંમેલન બાદ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે મારા ચાહકો મને રાજકારણમાં જવા માટે કહી રહ્યા છે. મને પણ લાગે છે કે રાજકારણમાં જવું જોઈએ. સમાજને પૂછીને રાજકારણમાં જવા અંગેનો નિર્ણય લઈશ. 2027ની વિધાનસભાની ચૂંટણી લડવા અંગે વિક્રમ ઠાકોરે કહ્યું કે હજુ નક્કી નથી કર્યું કે ક્યારે રાજકારણમાં જઈશ. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોમાં સારા સંબંધો છે. સમાજની મંજૂરી લઈને કોઈ એક પક્ષમાં જઈશ. હાલ કોઈ નિર્ણય નથી કર્યો પણ નિર્ણય લઈશ ત્યારે મીડિયાને બોલાવીને જાણ કરીશ. ડીજે અંગેનો નિર્ણય લેતા ઘણા લોકોને અસર થઈ છે. સમાજને વિનંતી કરી છે કે તેમાં સુધારો કરે. ડીજેના અવાજ અને અન્ય બાબતોને લઈ સુધારો કરવો જોઈએ.
ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ઠાકોર સમાજના હાલમાં બાનાવેલા બંધારણમાં ડીજે પર મુકાયેલા પ્રતિબંધનો મુદ્દો અભ્યુદય મહાસંમેલનમાં ઉઠ્યો હતો. ગુજરાતી ફિલ્મના કલાકાર વિક્રમ ઠાકોરે સ્ટેજ પરથી પ્રતિબંધ હટાવવા વિનંતી કરી હતી. જોકે સાંસદ ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી જવાબ આપ્યો કે, એક વર્ષ માટે બંધારણ બની ગયું છે. હવે બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય. એક વર્ષ પછી આપ સૌ આવજો ફેરવિચાર કરીશું.
'કોઈપણ ક્રાંતિ એક દિવસમાં નથી આવતી'
સંમેલનને સંબોધતા ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે મોડે મોડે પણ વારો આવ્યો ખરો. ક્ષત્રિય ઠાકોર સમાજ અને સેના અને અલ્પેશ ઠાકોરના આમંત્રણને માન આપીને સૌ એકત્રિત થયા છે. આવનારા સમયમાં શિક્ષણ તરફ આગળ વધવાનું છે. આપણે નિરક્ષરતા, બેરોજગારી, વ્યસન જેવા પરિબળો સામે લડવાનું છે. જેના અન્ન ભેગા તેના મન ભેગા. વર્ષો પહેલા જે સમાજના લોકો આવ્યા તે સમાજમાંથી શીખ લેવાની છે.કોઈપણ ક્રાંતિ એક દિવસમાં આવતી નથી. વર્ષોના સંઘર્ષ બાદ કોઈ પરિવાર કે સમાજ આગળ વધતો હોય છે. દરેક જિલ્લામાં 50 છોકરા ક્ષત્રિય ઠાકોર સમાજના મળવા આવે છે. દુનિયા આજે કલાકો અને મિનિટો પર દોડવા લાગી છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અનેક પ્રાઇવેટ કંપનીઓ છે. કંપનીની માંગ મુજબનું શિક્ષણ ન મેળવ્યું હોય તો ઉચ્ચ હોદ્દા પર નોકરી મળતી નથી.પટાવાળા અને સિક્યુરિટીની નોકરી માટેની માનસિકતા છોડવી પડશે. ઠાકોરનો દીકરો એન્જિનિયર, IAS અને IPS થવો જોઈએ. સમાજની ચિંતા કરવા માટે આગેવાનો ભેગા થયા છે. કોઈ તનથી, મનથી કે ધનથી સેવા કરે. કોઈ સેવા કરે છે તેને નડે નહીં તે પણ સમજ સેવા જ છે. આ ઠાકોર સમાજ અડધી રાત્રે આશા અને અપેક્ષા સાથે આવ્યો છે. સ્ટેજ પર બેઠેલા આગેવાનોને ગેનીબેને ટકોર કરી હતી કે સમાજ અને શિક્ષણનું કામ હોય ત્યારે બધા એક થાય. વાંક વગર જો સમાજની વ્યક્તિને કોઈ હેરાનગતિ કરે ત્યારે પણ સૌ એક થાય. 12માં ધોરણ સુધી ભણાવ્યા બાદ જ દીકરીના લગ્ન કરાવવા જોઈએ. દરેક તાલુકા કક્ષાએ દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ લેવાનો છે. દીકરી ભણેલી હોય તો પરિસ્થિતિનો સામનો કરી સ્વમાનભેર જીવી શકે. દીકરીઓને એવી કેળવણી આપો કે કોઈપણ મોરચે લડી લે.





















